ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી કોરોના વાયરસનો વિસ્ફોટ થઇ રહ્યો છે અને દરરોજ રેકોર્ડબ્રેક નવા કેસો નોંધાઇ રહ્યા છે. ગુજરાતમાં શુક્રવારે પ્રથમવાર એક દિવસમાં 1600થી વધુ વિક્રમજનક નવા કોરોના કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. આજે શનિવારે પણ ફરી 1600ની લગોલગ નવા કોરોના કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં શનિવારે ફરી 1598 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાવતા હાહાકાર મચ્યો છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,06,714 લાખે પહોંચી ગઇ છે. કોરોનાના નવા કેસોની સાથે સાથે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા પણ ચિંતાજનક દરે વધી રહી છે.
તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 1523 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 1,87,969 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 90.93 ટકાના સ્તરે પહોંચ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી વધુ 16 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં કુલ 10, સુરતમાં કુલ 2 અને વડોદરા- રાજકોટ અને ગાંધીનગરમાં 1-1 કોરોના સંક્રમિત દર્દીનું મરણ થયુ છે. આજના નવા મરણ સાથે અત્યાર સુધીમાં કાળમુખો કોરોના વાયરસ રાજ્યમાં કુલ 3953 લોકોને ભરખી ગયો છે. આજે ગુજરાતમાં કોરોનાથી થયેલ કુલ મોતમાં સૌથી વધુ અમદાવાદના દર્દીઓના મોત થયા છે..
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત એક્ટિવ કેસોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા સોમવારે વધીને 13,836 પહોંચી ગઇ હતી જે આજે શનિવારે વધીને 14,792 એ પહોંચી ગઇ છે, જેમાંથી હાલમાં 89 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
આજે સમગ્ર ગુજરાતમાં કુલ 69,887 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 76,90,779 ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,16,772 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,16,639ને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 133 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટીનમાં રાખવામાં આવ્યા છે.