ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી કોરોના વાયરસનો કહેર યથાવત્ છે પરંતુ સરકારે કોરોના ટેસ્ટિંગનું પ્રમાણ ઘટાડતા દૈનિક નવા કેસોની સંખ્યા ઘટી રહી છે જો કે સંક્રમણથી મરનાર દર્દીઓની સંખ્યા હજી પણ ઘણી ઉંચી છે જે ચિંતાજનક બાબત છે. ગુજરાતમાં આજે બુધવારે 1318 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે સતત ત્રીજા દિવસે રાજ્યમાં 1400થી ઓછા નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,22,811 પહોંચી ગઇ છે.
તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 1550 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 2,04,661 પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 91.85 ટકાના સ્તરે પહોંચ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી વધુ 13 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં કુલ 8, સુરતમાં કુલ 2, રાજકોટ- અમરેલી અને બનાસકાંઠામાં 1-1 કોરોના સંક્રમિત દર્દીનું મરણ થયુ છે. આજના નવા મરણ સાથે અત્યાર સુધીમાં કાળમુખો કોરોના વાયરસ રાજ્યમાં કુલ 4123 લોકોને ભરખી ગયો છે. આજે ગુજરાતમાં કોરોનાથી થયેલ કુલ મોતમાં સૌથી વધુ અમદાવાદના દર્દીઓના મોત થયા છે..
રાજ્યમાં કોરોના સંક્રમણના નવા કેસોની સંખ્યા ઘટતા એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા આજે 14,027 થઇ ગઇ છે, જેમાંથી હાલમાં 75 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
આજે સમગ્ર ગુજરાતમાં કુલ 60,661 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 84,32,094 ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,54,993 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,54,858ને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 135 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટીનમાં રાખવામાં આવ્યા છે.