નવી દિલ્હીઃ મોદી સરકારના રાજમાં લોન ડિફોલ્ટરને જલસા પડી રહ્યા છે જ્યારે બીજી બાજુ બેન્કો પર બેડ લોનનો બોજ સતત વધી રહ્યો છે. કેન્દ્રીય બજેટ રજૂ થયા પહેલા સરકાર નોન-પર્ફોર્મિંગ એસેસટ્સ અંગેની શરતોમાં ઢીલ આપવા બાબતે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) અને સંબંધિત પક્ષો સાથે વાચતીચ કરી રહી છે. જો આ વિષય પર સહમતિ બનશે તો કોઈ લોનને એનપીએમાં બદલવાની અવધિને વધારીને 120 દિવસથી 180 દિવસ કરવામાં આવી શકે છે. હાલમાં, જો કોઈ લોનનું પેમેન્ટ 90 દિવસો સુધી નથી થતું તો આને એનપીએ માનવામાં આવે છે.
કોવિડ-19 મહામારીને કારણે બેન્કિંગ તંત્રમાં એનપીએમાં વૃદ્ધિ થઈ છે, ખાસ કરીને સરકારી નિયંત્રિત બેન્કો માટે મુશ્કેલી વધી ગઈ છે. આ બાબતને ધ્યાને રાખતા શરતો બળવી કરવા અંગે ચર્ચા શરૂ થઈ છે. સરકારનું માનવું છે કે, એનપીએના વર્ગીકરણ માટે નિર્ધારિત અવધિ ઘણી ઓછી છે. આ બાબતે એખ સરકારી અધિકારીએ કહ્યું કે, એનપીએની ઓળખ સહિત ફસાયેલ દેવા સંબંધિત વિવિધ સમસ્યાઓના સમાધાન માટે સંભાવનાઓ પર વિચાર થઈ રહ્યો છે. બેન્કોના સ્વાસ્થ્યને સુધારવા માટે વિવિધ વિભાગ અને નિયામક ચર્ચાઓ કરી રહ્યા છે. આમાં એક વિકલ્પ તરીકે એનપીએ વર્ગીકરણની અવધિ 90 દિવસથી વધારવાનો વિચાર થઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, લેન્ડર્સને લોન પરત કરવાના સમયને 90 દિવસથી વધારીને ઓછામાં ઓછા 120 દિવસ સુધી કરવામાં આવવી જોઈએ.
નાણાકીય વર્ષ 2022 બેંકો માટે પડકારજનક બનશે
અધિકારીએ કહ્યું કે, આનાથી બેન્કોને વહીખાતા જાળવવા અને તેના પરનો વધુ પડતો ભાર ઘટાડવામાં મદદ મળશે. કોવિડ -19 મહામારીના નાણાંકીય દુષ્પ્રભાવોથી લોન લેનારાઓને રાહત આપવા માટે આરબીઆઈએ છ મહિના માટે અસ્થાયી રૂપે દેવાની ચૂકવણીથી રાહત આપી હતી. જો કે, નિયામકે તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે નીતિ સ્તરે આરબીઆઈ દ્વારા લેવામાં આવેલા પગલાંને ધીમે ધીમે પાછા ખેંચવાના કારણે નાણાકીય વર્ષ 2022 બેંકો માટે પડકારજનક બનશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકાર હાલમાં તમામ સંબંધિત પક્ષો સાથે વાત કરી રહી છે અને આ મુદ્દે અંતિમ નિર્ણય આરબીઆઈ લેશે.
નિયત અવધિ વધારવા માટે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારો કરવો પડશે
એનપીએ વર્ગીકરણ માટે નિયત અવધિ વધારવા માટે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારો કરવો પડશે. હાલમાં, બેન્કો લોનને એનપીએ જાહેર કરતા પહેલા ત્રણ આંતરિક ધોરણોનું પાલન કરે છે. જો કોઈ લોન એકાઉન્ટ 30 દિવસ માટે ચૂકવવામાં ન આવે, તો તે વિશેષ ઉલ્લેખ એકાઉન્ટ (એસએમએ -1) હેઠળ રાખવામાં આવે છે. પેમેન્ટમાં 60નો વિલંબ થવા પર આને એસએમ-2 અને 90 દિવસો સુધી વિલંબ બાદ એસએમ-3માં રાખવામાં આવે છે અને 91માં દિવસે એનપીએ જાહેર કરવામાં આવે છે. બેન્કર્સના મતે, જો આ વિષય પર સંમતિ આપવામાં આવે તો તેનો લાભ બેંકો અને લોન લેનારા બંનેને થશે.
વર્ગીકરણના નિયમોમાં ફેરફાર કરવાથી બેંકોમાં કુલ એનપીએ ઘટાડી શકાય
એક ભૂતપૂર્વ બેંકરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, વર્ગીકરણના નિયમોમાં ફેરફાર કરવાથી બેંકોમાં કુલ એનપીએ ઘટાડી શકાય છે. આ લોન લેનારાઓને ચુકવણી માટે તૈયાર થવા માટે વધુ સમય આપશે અને વ્યવસાયિક વાતાવરણમાં સુધારો થતાં તેમનું નાણાકીય આરોગ્ય પણ સુધરશે. લોન એનપીએ જાહેર ન કરવાનો એક ફાયદો એ છે કે અન્ય સ્રોતોમાંથી ભંડોળ ઉભું કરવાનો વિકલ્પ પણ ખુલ્લો રહેશે. નિષ્ણાંતો કહે છે કે, ફસાયેલી લોનના આંકડા ઘટાડવા આ એક પગલું લેવામાં આવી રહ્યું છે, પરંતુ તેના કેટલાક ગેરફાયદા પણ છે. એનપીએના વર્ગીકરણ માટે 80 દિવસનો સમયગાળો આંતરરાષ્ટ્રીય સ્તરે વલણમાં છે અને બેસલ-3 ની માર્ગદર્શિકા પ્રમાણે છે. આ નિયમમાં કોઈપણ ફેરફાર આંતરરાષ્ટ્રીય વ્યવહારોને અસર કરી શકે છે.