પ્રાઇવસી પોલિસીના વિવાદ વચ્ચે Whatsapp યુઝર્સ માટે વધુ એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. Whatsappમાં કરવામાં આવતા મેસેજ મોકલનાર અને મેળવનાર સિવાય કોઈ વાંચી શકતું નથી, એવો Whatsapp અને તેની માલિકી ધરાવતી કંપની Facebookનો દાવો છે. સાયબર સિક્યુરિટી નિષ્ણાતો એ દાવો માનતા નથી. રાજશેખર રાજાહારિઆ નામના સાઈબર એક્સપર્ટે આધાર-પુરાવા સાથે ટ્વિટ કરી હતી. રાજશેખરે Whatsapp ચેટની લિન્ક, Whatsapp વપરાશકારના નંબર Google પર ઉપલબ્ધ હોવોના સ્ક્રીનશૉટ મુક્યા હતા. આ પ્રકારે ડેટા લિક થવાથી વૉટ્સઅપ વપરાશકાર સાથે હેકિંગ થવાનો ભય રહે છે. દિલ્હી હાઈકોર્ટમાં વૉટ્સઅપની નવી પોલિસી વિરૂદ્ધ અરજી થઈ હતી. દિલ્હી હાઈકોર્ટે આજે આ અરજી રદ કરતા કહ્યુ હતુ કે Whatsappનો વપરાશ ફરજિયાત નથી, સ્વૈચ્છીક છે. લોકો પોતાની મરજીથી Whatsapp વાપરે છે. જેમને Whatsappની પોલિસી સામે વાંધો હોય કે પ્રાઈવસીની ફરિયાદ હોય તેમણે Whatsappનો વપરાશ બંધ કરી દેવો જોઈએ. કોર્ટે કહ્યુ હતુ કે Google મેપ અને અન્ય ઓનલાઈન સર્વિસો ડેટા એકઠો કરે જ છે, કોના કોના પર પ્રતિબંધ મુકવો?
જોકે યુઝર્સ હવે સતર્ક થયા છે અને Whatsappની ગૂંચવાડાભરી તથા વિવાદાસ્પદ પોલિસીથી કંટાળ્યા પણ છે. માટે સિગ્નસ તથા ટેલિગ્રામ જેવી મેસેજિંગ એપ તરફ વળ્યા છે. સિગ્નલના સ્થાપક બ્રાયન એક્ટને એક મુલાકાતમાં કહ્યુ હતુ કે Whatsapp વિવાદ પછી અમને સૌથી વધુ ડાઉનલોડિંગ ભારતમાંથી મળી રહ્યું છે. ભારતના નાગરિકો પ્રાઈવસી અંગે સાવધાન છે એ આનંદની વાત છે. તેમણે કહ્યુ હતુ કે સિગ્નલ ડાઉનલોડ કરવાનું પ્રમાણ સતત વધી રહ્યુ છે. બ્રાયને કહ્યુ હતુ કે સિગ્નલ એપ એવી છે, જે યુઝર્સના નંબર સિવાય કોઈ વિગત માંગતી નથી. શેર થતા ફોટો, વિડીયો, ઓડિયો, ચેટ વગેરેની જાસૂસી કરવાનું અમારે કારણ નથી, કેમ કે અમે કંપની નહી ફાઉન્ડેશનની સ્થાપના કરી છે, જે ડોનેશન પર ચાલે છે. અમારે યુઝર્સનો ડેટા વેચીને કમાણી કરવાની આવશ્યકતા નથી.
એક્ટને એ વાત પણ ઉમેરી હતી કે અત્યારે દસ ભાષામાં ઉપલબ્ધ છે. તેમાં ગુજરાતીનો પણ સમાવેશ થાય છે. જ્યારે ભારત માટે ખાસ વોલપેપર અને એનિમેટેડ સ્ટિકર અમારે વિકસાવવા પડયા કેમ કે તેની મોટી ડિમાન્ડ હતી. હજુ તેના પર કામ ચાલે જ છે. એ ઉપરાંત જરૂર મુજબના અન્ય ફિચર્સ પણ ટૂંક સમયમાં ઉમેરાશે. રાજશેખરે પોતાની પોસ્ટમાં લખ્યુ હતુ કેે Whatsapp ચેટ ગૂગલમાં મળી આવી તેનું કારણ Google અને Facebook બન્ને પક્ષની બેદરકારી છે. એટલે Whatsapp-Facebook સલામત હોવાનો દાવો કરે છે, પણ ખરેખર સલામતી માટે કોઈ નક્કી કામગીરી થતી નથી એવુ કેમ્બ્રિજ એનાલિટિકા કૌભાંડ પછી બીજી વખત સાબિત થયુ છે.
કંપનીઓમાં ચિંતા
Whatsappનો ઉપયોગ વિવિધ કંપનીઓ પોતાના ગ્રાહકોને સર્વિસ આપવા માટેે કરતી થઈ છે. કંપનીઓ દ્વારા પોતાના ગ્રાહકોને કેટલીક મહત્ત્વની માહિતી Whatsapp દ્વારા પહોંચાડવામાં આવતી હોય છે. પરંતુ પ્રાઈવસી મુદ્દે Whatsappની બેદરકારીથી કંપનીઓ પણ ચિંતિત થઈ છે. કંપનીઓ દ્વારા પણ Whatsappના વિકલ્પ તરીકે કઈ એપ વાપરી શકાય તેની તપાસ ચાલુ થઈ છે. કેટલીક કંપનીઓએે પોતાની પ્રતિષ્ઠા માટે Whatsappની સલામતી અંગે સ્વતંત્ર તપાસ પણ શરૂ કરાવી છે.