અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી દરમ્યાન ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષે ટિકિટ ફાળવણી મુદ્દે અસંતોષ જોવા મળી રહ્યો છે પરિણામે હવે ભાજપ અને કોંગ્રેસના આગેવાનોને પેનલો તુટવાનો ડર સતાવી રહ્યો છે. ભાજપ હાઈકમાન્ડે સિનિયરોની ટિકિટ કાપીને માત્ર 38 જેટલા કોર્પોરેટરોને રિપીટ કર્યા છે. જેથી પક્ષના સિનિયર નેતાઓ પેનલો તોડી શકે છે તો બીજી તરફ કોંગ્રેસની ટિકિટ વહેંચણીથી નારાજ કેટલાંક આગેવાનો સક્રિય રહ્યાં નથી સાથે બીજા પક્ષના ઉમેદવારોને જીતાડવામાં કામે લાગ્યા હોવાથી પેનલો તુટવાનો ડર ઉભો થયો છે. બંને પક્ષોમાં ટિકિટ ફાળવણી મુદ્દે સિનિયર નેતાઓ અને અસંતુષ્ટોમાં જૂથવાદ ચરમસીમાએ હોવાનું ઉભરી રહ્યું છે જેની સીધી અસર મતદાન ઉપર પડી શકે છે.
ભાજપે શહેરમાં ત્રણ ટર્મ કે તેથી વધુ જીતેલા, 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતાં અને નેતાપુત્રોને ટિકિટ આપી નથી અને AMCમાં 142 પૈકી 100 થી વધુ સિનિયરોની ટિકિટ કાપી નાંખી હતી બીજી તરફ 38 જેટલા કોર્પોરેટરોને રિપીટ કરતા કેટલાંક સિનિયરો નારાજ થઈ ગયા છે. અમદાવાદ શહેરના નવાવાડજ અને સ્ટેડિયમ વોર્ડમાં ભાજપના સ્થાનિક નેતાઓમાં જુથબંધી ચરમ ઉપર પહોંચી છે અહીં, ભાજપને પેનલો તુટવાનો ડર સતાવી રહ્યાં છે. સ્ટેડિયમ વોર્ડની ભાજપની પેનલમાં એકપણ વણિક કે દલિતને ટિકિટ આપી નથી તેવો કાર્યકરોનો આરોપ છે.કોંગ્રેસને મક્તમપુરા, જમાલપુર, બહેરામપુરા જેવા વોર્ડમાં પેનલો તુટવાનો ડર સતાવી રહ્યો છે. ત્યારે નવા આવેલા આમ આદમી પાર્ટી અને ઓવૈસી ની પાર્ટી ને થોડોઘણો ફાયદો થાય તેવી અટકળો વહેતી થઈ છે.
