અમદાવાદ માં કોરોના બેફામ વકર્યો છે આ માટે મ્યુનિ.ની ચૂંટણી ઉપરાંત ક્રિકેટ મેચ પણ જવાબદાર છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી બે ટેસ્ટ મેચ અને પહેલી બે ટી-20માં હજારોની સંખ્યામાં પ્રેક્ષકો ભરવામાં આવ્યા હતા.
છેલ્લે 12 ડિસેમ્બરે કોરોનાના કેસનો આંક 240ને વટાવી ગયો હતો. એ પછી 93 દિવસ બાદ ફરી આ આંકડો આવ્યો છે. માર્ચની શરૂઆતથી કેસમાં સતત ઉછાળાને કારણે એસવીપી હોસ્પિટલના આઈસીસીયુ બેડ પણ ફૂલ થઈ ગયા છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં પણ ખાલી બેડની સંખ્યા સતત ઘટી રહી છે. આહનાની આંકડાકીય માહિતી મુજબ મંગળવારે ખાનગી હોસ્પિટલોના કુલ 2273માંથી 487 બેડ ભરેલા હતા. અર્થાત્ 21 ટકા બેડ ભરાઈ ચૂક્યા છે. માર્ચ પહેલાં ખાનગી હોસ્પિટલોમાં લગભગ 96 ટકાની આસપાસ બેડ ખાલી રહેતા હતા.
કેસમાં ઉછાળાને પગલે મ્યુનિ.એ ઠેરઠેર કોરોના ટેસ્ટિંગ ડોમ ફરી શરૂ કરવા પડ્યા છે અને હવે આ ડોમ પર પણ લાંબી લાઈનો જોવા મળે છે. હાલની પરિસ્થિતિને જોતાં મ્યુનિ.નો હેલ્થ વિભાગ ટેસ્ટની સંખ્યામાં વધારો કરવા વિચારી રહ્યો છે.
દરમિયાન એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવકુમાર ગુપ્તાએ મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી શહેરની હોસ્પિટલમાં ખાલી બેડની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે કેસ વધી રહ્યા હોવાથી ટેસ્ટિંગની સંખ્યા વધારવા પણ સૂચના આપી છે. દરમિયાન 17 માર્ચે મમતા દિવસ હોવાથી મ્યુનિ.ના અર્બન હેલ્થ સેન્ટરમાં રસીની કામગીરી બંધ રહેશે. જ્યારે સાયન્સ સિટી ખાતે નવું રસી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.
અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો થતા સરકારે અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટમાં રાતે 10થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ નાખ્યો છે. એસટી નિગમે તત્કાલ અસરથી એટલે કે મંગળવારથી જ આગામી 31 માર્ચ સુધી કે બીજો આદેશ ન થાય ત્યાં સુધી રાતની તમામ બસોનું ડેપોમાંથી સંચાલન બંધ રખાશે. રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ચારેય મહાનગરોના મુખ્ય બસ ડેપોમાંથી બસોનું સંચાલન નહીં થાય. એજ રીતે રાતે 10 વાગ્યા પછીની તમામ બસોને રિશિડ્યુલ કરી વહેલી ઉપાડવાનો એસટી મેનેજમેન્ટે નિર્ણય લીધો છે.
શહેરમાં કોરોના સંક્રમણ વધતાં મ્યુનિ.એ દિવસે પણ કોરોનાની ગાઇડલાઇનનું પાલન થાય તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. સોલિડ વેસ્ટ વિભાગના 225 સભ્યોની ટીમ દ્વારા તપાસ અભિયાન હાથ ધરાશે. જેમાં હોટલ, મોલ, મલ્ટિપ્લેકસમાં પણ કોરોના ગાઇડલાઇનનું પાલન થાય છે કે કેમ તેની તપાસ કરાશે. લગ્ન અને મરણપ્રસંગમાં પણ કોરોના ગાઇડલાઇનનું પાલન કરાવવા માટે મ્યુુનિ. ટીમ સમજાવશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ જણાવ્યું કે, વિભાગની 225 ટીમ અલગ અલગ મોલ, મલ્ટિપ્લેક્સ, હોટેલ, રેસ્ટોરાં પર નજર રાખશે.
આમ હવે સરકાર ના વાંકે લોકો ભોગવી રહ્યા હોવાની વાસ્તવિકતા સપાટી ઉપર આવી રહી છે.