અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલા કોરોના કેસની સંખ્યાને ધ્યાનમાં રાખી બુધવારે મોડી રાતે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ શહેરમાં દોડાવાતી એએમટીએસ અને બીઆરટીએસની કુલ મળીને ૯૫૦ થી પણ વધુ બસો અનિશ્ચિત મુદત માટે દોડતી બંધ કરવાના નિર્ણયની જાહેરાત કરતા શહેરમાં મ્યુનિ.બસોમાં મુસાફરી કરનારા ત્રણ લાખથી પણ વધુ મુસાફરોને ગુરૂવાર સવારથી જ રઝળપાટ કરવાની નોબત આવી. આ અંગે મળતી માહીતી મુજબ,અમદાવાદ શહેરમાં કાંકરીયા લેકફ્રન્ટ,રીવરફ્રન્ટ અને બગીચાઓમાં ચાલતી ગતિવિધિઓ ઉપર અનિશ્ચિત મુદત માટે પાબંધી લગાવવામાં આવ્યા બાદ બુધવારે મોડી રાતે શહેરમાં દોડાવવામાં આવતી એએમટીએસ અને બીઆરટીએસની મળીને ૯૫૦ જેટલી બસો ૧૮ માર્ચને ગુરૂવારે સવારથી જ ના દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહે જણાવ્યુ હતું.
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં એએમટીએસની કુલ મળીને ૬૭૦ થી ૬૮૦ બસો ઓન રોડ દોડાવવામાં આવતી હોવાનું ટ્રાન્સપોર્ટના એક અધિકારીએ જણાવ્યુ છે.ઉપરાંત બીઆરટીએસની ૨૫૦ થી વધુ બસો ઓનરોડ દોડાવવામાં આવતી હતી.આ બંને બસ સર્વિસની બસોમાં ત્રણ લાખથી પણ વધુ મુસાફરો મુસાફરી કરતા હતા.આ તમામને ગુરૂવાર સવારથી જ શટલ રીક્ષા સહિતના અન્ય વાહનોના વિકલ્પ નોકરી કે ધંધાના સ્થળે જવા શોધવા પડશે. અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા કોર્પોરેશને AMTS અને BRTS બસો આજથી અચોક્કસ સમય સુધી બંધ રાખવાનો વધુ એક નિર્ણય લીધો.. જેથી ૯૫૦ જેટલી બસોના પૈડા આજથી ફરી અચોક્કસ મુદ્ત માટે થંભી ગયા છે…રાતોરાત લેવાયેલા આ નિર્ણયથી સેંકડો નોકરીયાતો, મુસાફરો અટવાયા છે..એક તરફ આજથી ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે બસમાં જતા અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓની પણ મુંઝવણ વધી છે. શહેરમાં એકપણ રૂટ પર AMTS અને BRTS બસ જ્યાં સુધી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બંધ રહેશે.. રાતોરાત બીઆરટીએસ,એએમટીએસ બંધ થતા નોકરીયાતોના પેટ પર લાત લાગી છે..