ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર કપલ સાથે એરપોર્ટ પર મોટો ખેલ! ઇ-વિઝાની આ એક નાની ભૂલ તમને પણ પડી શકે છે ભારે
આજના સમયમાં સોશિયલ મીડિયા પર ટ્રાવેલ વ્લોગિંગ અને ઇન્ટરનેશનલ ટ્રિપ્સનો ક્રેઝ ખૂબ વધી ગયો છે. વિદેશ પ્રવાસ માટે ઓનલાઇન વિઝા (e-Visa) મેળવવાની પ્રક્રિયા ઘણી સરળ બની ગઈ છે, પરંતુ અધૂરી માહિતી અથવા એક નાની ભૂલ તમારી આખી ટ્રિપનું પ્લાનિંગ બગાડી શકે છે. હાલમાં જ ગ્લોરિયા અને સૌરભ નામના એક જાણીતા ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર કપલે ઇન્સ્ટાગ્રામ પર કિર્ગિઝસ્તાન (Kyrgyzstan) ના ઇ-વિઝાને લઈને પોતાનો એક કડવો અનુભવ શેર કર્યો છે. આ દંપતીના જણાવ્યા મુજબ, તમામ વિગતો અને સાચા દસ્તાવેજો આપવા છતાં તેમનો વિઝા નકારવામાં આવ્યો હતો.
આ કપલે જણાવ્યું કે, ભારતીય નાગરિક તરીકે કિર્ગિઝસ્તાન ઇ-વિઝા માટે અરજી કરવી ખૂબ જ સરળ છે, કારણ કે બધી પ્રક્રિયા ૧૦૦% ઓનલાઇન છે. અન્ય દેશોની જેમ અહીં અરજી સબમિટ કરવા માટે કન્ફર્મ ફ્લાઇટ ટિકિટ કે હોટેલ બુકિંગની પણ જરૂર પડતી નથી. તેમ છતાં, એક એવી કાનૂની જરૂરિયાત છે જે મોટાભાગના પ્રવાસીઓને મુંઝવણમાં મૂકે છે અને વિઝા રિજેક્શનનું કારણ બને છે.
View this post on Instagram
‘લેટર ઓફ ઇન્વિટેશન’ (LOI): સૌથી મોટી મુશ્કેલી
કિર્ગિઝસ્તાનના વિઝા માટે સૌથી મહત્વનો દસ્તાવેજ છે ‘લેટર ઓફ ઇન્વિટેશન’ (Letter of Invitation – LOI). મોટાભાગના પ્રવાસીઓને એ ખબર હોતી નથી કે આ લેટર ફરજિયાત છે કે નહીં, તે ક્યાંથી મેળવવો, અને શું કોઈપણ સામાન્ય વ્યક્તિ કે ગાઈડનો લેટર ચાલી શકે?
ગ્લોરિયા અને સૌરભે પોતાની ભૂલ સ્વીકારતા જણાવ્યું, “અમે કિર્ગિઝસ્તાનના એક સ્થાનિક ગાઈડ (Local Guide) દ્વારા આપવામાં આવેલો ઇન્વિટેશન લેટર અરજી સાથે જોડી દીધો હતો અને અમને લાગ્યું કે અમારું કામ થઈ ગયું. પરંતુ થોડા દિવસો પછી અમારી વિઝા અરજી પાછી આવી ગઈ (રીટર્ન થઈ). જ્યારે અમે સત્તાવાર માર્ગદર્શિકા અને ફોરમ્સ તપાસ્યા, ત્યારે ખબર પડી કે ઇન્વિટેશન લેટર માત્ર અને માત્ર કિર્ગિઝસ્તાન સરકાર દ્વારા રજિસ્ટર્ડ અને માન્યતા પ્રાપ્ત ટ્રાવેલ એજન્સી દ્વારા જ જારી કરાયેલો હોવો જોઈએ. સૌથી પરેશાન કરનારી બાબત એ છે કે, મોટાભાગની રજિસ્ટર્ડ કંપનીઓ ત્યાં સુધી LOI આપતી નથી જ્યાં સુધી તમે તેમનો આખો ટૂર પેકેજ બુક ન કરો.”
ઘણી શોધખોળ કર્યા પછી, આ કપલને એક એવી રજિસ્ટર્ડ એજન્સી મળી જે માત્ર ઇન્વિટેશન લેટર આપવા માટે રાજી થઈ. જો કે, આ લેટર મેળવવા માટે તેમને વિઝા ફી કરતાં બમણો ખર્ચ કરવો પડ્યો હતો. સદનસીબે તેમની પાસે અરજી ફરીથી સબમિટ કરવા માટે ૩૦ દિવસનો સમય હતો અને નવો સત્તાવાર LOI અપલોડ કર્યાના ૫ દિવસમાં જ તેમનો વિઝા અપ્રૂવ થઈ ગયો.
ટ્રાવેલ માર્કેટની ‘ડાર્ક સાઇડ’ અને નકલી એજન્સીઓનો ફાંદો
આ નિયમ અને વિઝા માર્કેટની વાસ્તવિકતા જાણવા માટે જ્યારે એવિએશન એક્સપર્ટ કે. અનુરાધા સુરેશ (એર ઇન્ડિયાના નિવૃત્ત સિનિયર એજીએમ) નો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે આને “ટ્રાવેલ એજન્સી માર્કેટની કાળી બાજુ” ગણાવી હતી.
અનુરાધાના જણાવ્યા મુજબ, ઇન્ટરનેટ પર અસલી જેવી દેખાતી નકલી વેબસાઇટ્સ (Lookalike Websites) તો એક મોટી સમસ્યા છે જ, પરંતુ તેનાથી પણ મોટો ફાંદો શિકારી અથવા સદંતર નકલી વિઝા આસિસ્ટન્સ એજન્સીઓનો છે. પ્રવાસીઓ આ એજન્સીઓ પર ભરોસો રાખીને તેમને મોટી ફી ચૂકવે છે કે તેમની પાસે સરકારી ચેનલો હશે અને તેઓ માન્ય લોકલ લેટર ઓફ ઇન્વિટેશન (LOI) મેળવી આપશે. પરંતુ ઘણી એજન્સીઓ પોતાનો પ્રોફિટ માર્જિન વધારવા માટે નકલી અપ્રૂવલ લેટર બનાવી દે છે અથવા જૂના એક્સપાયર થયેલા ટેમ્પલેટ્સનો ઉપયોગ કરે છે. પ્રવાસીને આ છેતરપિંડીની ખબર ત્યારે પડે છે જ્યારે એરપોર્ટ પર બોર્ડિંગ ગેટ અથવા ઇમિગ્રેશન કાઉન્ટર પર તેને રોકવામાં આવે છે અને અપમાનિત થવું પડે છે.
મૂળભૂત રીતે, લેટર ઓફ ઇન્વિટેશન એ પ્રવાસીના કિર્ગિઝસ્તાન આવવાના હેતુ અને આખા પ્રવાસના રૂટની પુષ્ટિ કરે છે. જો કોઈ દેશ વિઝા-ફ્રી કેટેગરીમાં ન આવતો હોય, અથવા પ્રવાસી લોંગ-ટર્મ કે મલ્ટિપલ એન્ટ્રી વિઝા ઈચ્છતો હોય, ત્યારે લાયસન્સ ધરાવતા કઝાક/કિર્ગિઝ ટૂર ઓપરેટરનો LOI અનિવાર્ય બને છે.
વિઝા ફ્રોડ અને રિજેક્શનથી પોતાની જાતને કઈ રીતે બચાવવી?
જો તમે પણ કિર્ગિઝસ્તાન કે અન્ય કોઈ દેશના ઇ-વિઝા માટે પ્લાનિંગ કરી રહ્યા છો, તો એવિએશન એક્સપર્ટ દ્વારા આપવામાં આવેલી આ ૨ ગોલ્ડન ટિપ્સ હંમેશા યાદ રાખો:
૧. વિઝા પ્રિન્ટ આઉટ પર આંખો બંધ કરીને ભરોસો ન કરો
જો કોઈ એજન્સી તમને વિઝાની પ્રિન્ટેડ કોપી હાથમાં આપી દે, તો પણ તેને સાચી માનીને સીધા એરપોર્ટ તરફ દોડશો નહીં. વિઝા કોપી પર આપેલો એપ્લિકેશન નંબર અથવા તમારો પાસપોર્ટ નંબર લો અને જે તે દેશના સત્તાવાર વિદેશ મંત્રાલય (Ministry of Foreign Affairs – MFA) ના ઓનલાઈન ડેટાબેઝ પર જઈને જાતે વેરિફાય કરો કે વિઝા અસલી છે કે નકલી.
૨. એજન્સી સ્ટેટસ ક્રોસ-ચેક કરો
મોટાભાગની એમ્બેસી (દૂતાવાસ) પોતાની સત્તાવાર વેબસાઇટ પર માન્યતા પ્રાપ્ત આઉટસોર્સ પાર્ટનર્સ અથવા રજિસ્ટર્ડ એજન્ટોની યાદી પ્રસિદ્ધ કરે છે (જેમ કે મુખ્ય દેશો માટે VFS અથવા BLS કંપનીઓ કામ કરે છે). જો તમે જે એજન્સી પાસે કામ કરાવી રહ્યા છો તેનું નામ આ સત્તાવાર ડિપ્લોમેટિક લિસ્ટમાં ન હોય, તો તમે બહુ મોટું જોખમ લઈ રહ્યા છો. હંમેશા ઓથોરાઇઝ્ડ ચેનલનો જ ઉપયોગ કરો જેથી તમારા પૈસા અને સપના બંને સુરક્ષિત રહે.