ગાંધીનગરઃ ગુજરાતમાં રસીકરણ અભિયાનની વચ્ચે જીવલેણ કોરોના વાયરસ બેકાબુ બનતા આજે મંગળવારે સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે જે બહુ જ ચિંતાજનક બાબત છે. નવા કેસો વધતા રાજ્યમાં એક્ટિવ કેસો અને મરનાર દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.
ગુજરાતમાં આજે 27 માર્ચના રોજ કોરોના સંક્રમણના 2276 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે અત્યાર સુધી એક દિવસમાં નોંધાયેલા સૌથી કોરોના સંક્રમણના કેસ છે. આમ રાજ્યમાં સતત ચોથા દિવસે રેકોર્ડ બ્રેક નવા કોરોના કેસ નોંધાતા લોકો અને વહીવટીતંત્રમાં ફફડાટ ફેલાયો છે. આજના નવા કેસ આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,98,596 પહોંચી ગઇ છે.
અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવતા લોકો માટે નેગેટિવ RTPCR રિપોર્ટ ફરજિયાત
હવે અન્ય રાજ્યોમાં ગુજરાતમાં આવતા તમામ લોકો માટે 1લી એપ્રિલથી નેગેટિવ RTPCR રિપોર્ટ ફરજિયાત રહેશે. ગુજરાતમાં પ્રવેશવા માંગતા લોકોનો RTPCR રિપોર્ટ નેગેટિવ હશે તેમને જ પ્રવેશ મળશે. 72 કલાક પહેલાનો RTPCR રિપોર્ટ માન્ય ગણાશે. ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. અત્યાર સુધી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી આવતા લોકો માટે જે નેગેટિવ RTPCR રિપોર્ટ ફરજિયાત હતો. હવે તમામ રાજ્યોના લોકો માટે નેગેટિવ RTPCR રિપોર્ટ ફરજિયાત બનાવવામાં આવ્યો છે.
તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 1534 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 2,83,241 પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ ઘટીને 94.86 ટકાના સ્તરે પહોંચ્યો છે. આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં કોરોના કેસ નોંધાયા છે.
સતત મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત દર્દીઓ ઉમેરાતા અને એક્ટિવ કેસોની સંખ્યા વધવાની સાથે-સાથે રાજ્યમાં હવે સંક્રમિત દર્દીઓના મૃત્યુની સંખ્યા પણ વધી રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી 5 દર્દીના મોત થયા છે. જેમા સુરતમાં 4 તેમજ અમદાવાદ – ભરૂચ અને ભાવનગરમાં 1-1 દર્દીના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 4484 પહોંચ્યો છે.
રાજ્યમાં કોરોના સંક્રમણના નવા કેસોની સંખ્યા વધવાની સાથે-સાથે એક્ટિવ કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા આજે વધીને 10000ને વટાવી ગઇ છે. આજે રાજ્યમાં 10871 કોરોના એક્ટિવ કેસો હતા એટલે કે હાલ વાયરસથી સંક્રમિત આટલા દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી હાલમાં 157 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
કોરોના રસીકરણના મામલે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે આવી ગયુ છે. ગુજરાતમાં કોરોના રસીના ડોઝ મૂકવાનો કુલ આંકડો 50 લાખને વટાવી ગયો છે.
સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ આજે 1લી માર્ચથી કોરોના રસીકરણ અભિયાનનો બીજા તબક્કો શરૂ થયો છે. આ રસીકરણ અભિયાનના બીજા તબક્કામાં 60 વર્ષથી મોટી ઉંમરના અને 45 વર્ષથી 60 વર્ષ વય ધરાવતા અને ગંભીર રોગ ધરાવતા વ્યક્તિઓને કોરોના રસી મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે ગુજરાતમાં કુલ 3,44,256 વ્યક્તિઓને કોરોના રસી મૂકવામાં આવી છે. જેમાં આજે 45થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 2,98,973 વ્યક્તિઓને કોરોના વેક્સીન મૂકવામાં આવી છે. આ સાથે ગુજરાતમાં અત્યાર સુધી કુલ 44,29,556 વ્યક્તિઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ મૂકાયો છે. તો 6,29,707 વ્યક્તિઓના કોરોના વેક્સીનના બીજા ડોઝનનું રસીકરણ પૂર્ણ થયુ છે. આમ ગુજરાતમાં અત્યાર સુધી 50,58,626 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.