આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ભારતીય ટીમના ઝડપી બોલર આશિષ નેહરાને લઇને યુવરાજે મોટો ખુલાસો કર્યો છે. ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટ્વેન્ટી-20 મેચમાં જીત બાદ નેહરાને તેના કરિયર માટે શુભકામનાઓ લોકો પાઠવી રહ્યાં છે ત્યારે તેના સાથી યુવરાજ સિંહે તેનું એક રહસ્ય ઉજાગર કર્યું છે.
વાત એવી છે કે યુવરાજ સિંહે ફેસબુક પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે કહ્યું છે કે, પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલી તેને પોપટ કરીને બોલાવતો હતો. કારણ કે તે ઘણું બોલતો હતો. તે પાણીની અંદર રહીને પણ બોલી શકતો હતો. જ્યારે પણ તમે તેની સાથે રહો ક્યારેય બોર થઇ શકશો નહીં. તે તમને ઘણો હસાવશે.
યુવરાજના જણાવ્યા અનુસાર, વર્ષ 2003 વર્લ્ડ કપ દરમિયાન તેને ઇજા પહોંચી હતી. તેના રમવાની કોઇ આશા ન હતી. પરંતુ, આમ છતાં પણ તે મેચ રમ્યો હતો. એ મેચમાં તેણે છ વિકેટ લીધી હતી અને ભારતે આ મેચમાં ઇંગ્લેન્ડને 82 રનથી હરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વિદાય મેચમાં આખી ભારતીય ટીમે નેહરાને ખભા પર બેસાડીને મેદાન પર ફરાવ્યો હતો.