ભારતમાં કોરોના ની બીજી લહેર હવે ભયાનક રૂપ પકડી લેતા દુનિયા ભર માં આ વાતે ધ્યાન ખેંચ્યું છે. દેશભરમાં કોરોના સંક્રમણના 1 લાખ 15 હજારથી વધુ નવા કેસો સામે આવ્યા અને સતત સેકંડો માં સંક્રમણ તીવ્ર ગતિ થી આગળ વધ્યું છે ત્યારે
વૈજ્ઞાનિકો એ ચેતવણી આપી છે કે ભારતમાં વેક્સિન નકામી નીવડી શકે છે અને પૂરતા પ્રમાણમાં સેમ્પલોની તપાસ નહી થાય તો કોરોનાનો ઈલાજ મુશ્કેલ બની શકે છે.
સંક્રમણમાં આટલો ઝડપી ઉછાળો આવવાના કારણો અંગે હવે સવાલો ઉઠી રહ્યા છે ભારત માં ફેલાયેલા ઝડપી કોરોના વાયરસ નો કોઈ નવો વેરિઅન્ટ પેદા થયો છે કે જે આટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે? તે અંગે નિષ્ણાતો માં ચિંતા છે તેઓ ના મતે, ભારત કોરોના સંક્રમણનાં પોઝિટિવ સેમ્પલોની પ્રયોગશાળાઓમાં પૂરતા પ્રમાણમાં તપાસ કરવામાં નિષ્ફળ રહ્યું છે, તંત્ર પાસે પૂરતો ડેટા જ નથી, જેનાથી ઝડપથી વધતા કેસનું કારણ સમજવામાં મદદ મળી શકતી નથી.
બ્લૂમબર્ગના તાજેતરના એક રિપોર્ટમાં એક્સપર્ટના દ્વારા ચેતવણી અપાઈ છે કે જો ભારત જિનેટિક સિક્વન્સિંગના આંકડાઓને ઝડપથી નહીં વધારે તો ઈલાજ તો મુશ્કેલ થશે જ, પણ એવી હાલત થશે કે વેક્સિનની પણ વાયરસ પર કોઈ ખાસ અસર નહીં થાય. વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે જો ભારત પોઝિટિવ સેમ્પલોનું ઝડપથી જિનેટિક સિક્વન્સિંગ નહીં કરે તો કોરોના વિરુદ્ધ લડાઇ મુશ્કેલ બનશે. હોસ્પિટલોમાં ઈલાજ નહીં થઈ શકે અને ન તો વાયરસ વિરુદ્ધ વેક્સિન કામમાં આવશે.
ભારત પોઝિટિવ સેમ્પલોના જિનેટિક સિક્વન્સિંગના મામલે બ્રિટન અને અમેરિકા જેવા વિકસિત દેશો કરતા ઘણું પાછળ છે. સરકારી ડેટા અનુસાર, ભારતે પોતાનાં પોઝિટિવ સેમ્પલોના માત્ર એક ટકાથી પણ ઓછું જિનેટિક સિક્વન્સિંગ કર્યું છે. બીજી તરફ, બ્રિટનમાં આ આંકડો આઠ ટકા છે. ગત સપ્તાહે તો યુકેએ પોઝિટિવ સેમ્પલોમાંથી 33 ટકા એટલે કે એક તૃતીયાંશ સેમ્પલોનું લેબોરેટરીમાં આગળની તપાસ કરી હતી. જ્યારે અમેરિકાએ પણ ગત મહિને જણાવ્યું હતું કે તે નવા કેસોમાંથી લગભગ 4 ટકા સેમ્પલોનું જિનેટિક સિક્વન્સિંગ કરાવી રહ્યું છે
નિષ્ણાતો ના મતે વાસ્તવ માં ભારત પાસે કોરોનાવાયરસના નવા વેરિએન્ટ અંગેનો પૂરતો ડેટા જ નથી, જેનાથી ખ્યાલ આવે કે સંક્રમણમાં અચાનક જબરદસ્ત ઉછાળાનું કારણ કેટલાક નવા વેરિએન્ટ છે કે કેમ.
આમ હવે કોરોના નું સંકટ ભારત માટે પડકાર બન્યુ છે અને પહેલી લહેર કરતા બીજી કોરોના ની લહેર ઘાતક બની છે અને સેંકડો લોકો મોત ને ભેટી રહ્યા છે.