સિંહના સામ્રાજ્યમાં આ કોનો અવાજ ગુંજ્યો? છ દાયકા પહેલાં ગાયબ થયેલું આ અદભુત પક્ષી ગીરમાં પાછું ફર્યું!
પ્રકૃતિ અને વન્યજીવોના સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતના નામે વધુ એક સુવર્ણ પંક્તિ ઉમેરાઈ છે. એશિયાટિક લાયન (સિંહ) માટે વિશ્વભરમાં વિખ્યાત એવા ગીરના જંગલોમાંથી વિતેલા છ દાયકા પહેલાં જે પક્ષી સાવ વિલુપ્ત થઈ ગયું હતું, તે ‘ઇન્ડિયન ગ્રે હોર્નબિલ’ એટલે કે આપણો દેશી ‘ચિલોત્રો’ હવે ગીરમાં પાછો ફર્યો છે. માત્ર પાછો જ નથી ફર્યો, પણ ત્યાંની આબોહવાને અપનાવીને ગીરના ગાઢ જંગલોમાં પોતાના નવા માળા બાંધીને પરિવાર પણ વધારી રહ્યો છે. ગુજરાત વન વિભાગના અથાગ પ્રયત્નો અને વૈજ્ઞાનિક અભિગમને કારણે ‘ઇન્ડિયન ગ્રે હોર્નબિલ રિ-ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટ’ સંપૂર્ણપણે સફળ સાબિત થયો છે.
૬૦ વર્ષ જૂનો ઇતિહાસ અને પુનઃવસનની વૈજ્ઞાનિક સફર
વર્ષ 1950 અને 1960ના દાયકા દરમિયાન ગીરના જંગલોમાં આવેલા કેટલાક કુદરતી અને ભૌગોલિક બદલાવોને કારણે ચિલોત્રા પક્ષીઓ અહીંથી સદંતર અદૃશ્ય થઈ ગયા હતા. જો કે, વર્ષ 1965માં ગીરને વન્યજીવ અભયારણ્ય અને ત્યારબાદ 1975માં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન (નેશનલ પાર્ક) તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. વન વિભાગના વર્ષોના રક્ષણ અને જંગલના જતનથી ગીરની ઇકોસિસ્ટમમાં મોટો સુધારો આવ્યો.

નિષ્ણાતોના સઘન અભ્યાસ બાદ માલૂમ પડ્યું કે હવે ગીરનું વાતાવરણ ચિલોત્રા પક્ષીને ફરીથી અપનાવવા માટે એકદમ સાનુકૂળ બની ચૂક્યું છે. આથી, વર્ષ 2021માં એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો. ગુજરાતના જ અરવલ્લીના જંગલોમાં વસતા ઇન્ડિયન ગ્રે હોર્નબિલ પક્ષીઓને લાવીને ગીરમાં મુક્ત કરવાનું આયોજન કરાયું. તબક્કાવાર રીતે કુલ 40 ચિલોત્રા પક્ષીઓને ગીરના જંગલોમાં છોડવામાં આવ્યા હતા. જેમાં વર્ષ 2021 અને 2022 દરમિયાન 28 પક્ષીઓ અને ત્યારબાદ વર્ષ 2023માં અન્ય 12 પક્ષીઓને મુક્ત કરાયા હતા.
સેટેલાઇટ ટ્રેકિંગ અને પક્ષીઓનું અદભુત અનુકૂલન
વન વિભાગે આ પ્રોજેક્ટમાં માત્ર પક્ષીઓને છોડીને સંતોષ ન માન્યો, પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમનું વૈજ્ઞાનિક ઢબે મોનિટરિંગ કર્યું. મુક્ત કરાયેલા પક્ષીઓમાંથી 11 નર પક્ષીઓની પીઠ પર ‘સેટેલાઇટ ટ્રાન્સમીટર’ ફિટ કરવામાં આવ્યા હતા. આ ટેકનોલોજીના કારણે વન્યજીવ વૈજ્ઞાનિકો અને અધિકારીઓ ઘણા વર્ષો સુધી આ પક્ષીઓની રોજિંદી હિલચાલ, તેમના વસવાટની પસંદગી અને પ્રજનન શૈલી પર બારીકાઈથી નજર રાખી શક્યા.
આ આધુનિક ટ્રેકિંગના ચોંકાવનારા અને આનંદદાયક પરિણામો સામે આવ્યા છે. જ્યારે ચિલોત્રા પક્ષીઓને શરૂઆતમાં ગીરમાં છોડવામાં આવ્યા, ત્યારે નવું વાતાવરણ હોવાથી તેઓ ખૂબ લાંબી સફર કરતા હતા અને અજાણ્યા વિસ્તારોની શોધખોળ કરતા હતા. શરૂઆતના મહિનાઓમાં તેઓ આશરે 61 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં ભટકતા હતા અને રોજનું સરેરાશ 4.3 કિલોમીટર જેટલું અંતર કાપતા હતા. પરંતુ, જેમ-જેમ તેઓ ગીરના જંગલથી પરિચિત થતા ગયા અને અનુકૂલન સાધતા ગયા, તેમ તેમની હિલચાલ મર્યાદિત અને સ્થિર થઈ ગઈ. હવે આ પક્ષીઓ માત્ર 5.7 ચોરસ કિલોમીટરના ચોક્કસ વિસ્તારમાં જ વસી રહ્યા છે અને તેમની દૈનિક હિલચાલ ઘટીને માત્ર 1.4 કિલોમીટર થઈ ગઈ છે, જે સાબિત કરે છે કે તેઓ ગીરને પોતાનું કાયમી ઘર માની ચૂક્યા છે.
વન્યજીવ સંરક્ષણનો નવો વૈશ્વિક અધ્યાય
આ ઐતિહાસિક સફળતા અંગે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ ગૌરવભેર જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ સીમાચિહ્નો હાસિલ કર્યા છે. લુપ્ત થવાના આરે આવેલા ઘોરાડ પક્ષીથી લઈને ચિલોત્રાના પુનઃવસન સુધીની આ સફર આપણી કટિબદ્ધતા દર્શાવે છે. ગીરમાંથી ગાયબ થયેલા ચિલોત્રાને પાછા લાવ્યાને આજે પાંચ વર્ષ જેવો સમય થઈ ગયો છે અને આ પક્ષીઓ સંપૂર્ણપણે ગોઠવાઈ ગયા છે.”
તે જ રીતે, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી પ્રવિણ માળીએ પણ ખુશી વ્યક્ત કરતા ઉમેર્યું કે, “ગુજરાતના આ વન્યજીવ સંરક્ષણ મોડેલે સમગ્ર વિશ્વને દિશા બતાવી છે કે આપણી પ્રાકૃતિક વિરાસતનું રક્ષણ કેવી રીતે કરી શકાય. આ અનોખી સિદ્ધિ પર આજે સમગ્ર દેશ ગર્વ અનુભવી રહ્યો છે.”
આંતરરાષ્ટ્રીય સ્તરે મળી સ્વીકૃતિ
ગુજરાત વન વિભાગના આ ભગીરથ પ્રયાસની નોંધ વૈશ્વિક સ્તરે પણ લેવાઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત પીઅર-રીવ્યુડ જર્નલ ‘બર્ડ્સ’ (Birds) માં તાજેતરમાં જ એક વિશેષ સંશોધન પત્ર પ્રકાશિત થયું છે, જેનું શીર્ષક “Reintroduction of Indian Grey Hornbills in Gir, India: Insights into Ranging, Habitat Use, Nesting and Behavioural Patterns” છે. આ પત્રમાં ગુજરાત વન વિભાગ અને તેની સહયોગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા આ પ્રોજેક્ટનું સચોટ વૈજ્ઞાનિક મૂલ્યાંકન દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે.

જંગલના કુદરતી માળી: ઇકોલોજીમાં ચિલોત્રાનું મહત્વ
ચિલોત્રો એ માત્ર એક સુંદર પક્ષી નથી, પણ તે જંગલની ઇકોસિસ્ટમનો એક મહત્વનો આધારસ્તંભ છે. ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ વિનોદ રાવના જણાવ્યા અનુસાર, ગીરમાં મુક્ત કરાયાના પ્રથમ વર્ષમાં જ ચિલોત્રાની એક જોડીએ સફળતાપૂર્વક બચ્ચાં ઉછેર્યા હતા, જ્યારે બીજા વર્ષે અન્ય ત્રણ જોડીઓએ માળા બનાવ્યા હતા.
ઇકોલોજીની દ્રષ્ટિએ ચિલોત્રો જંગલ માટે ‘કુદરતી માળી’નું કામ કરે છે. આ પક્ષીઓ મુખ્યત્વે વનસ્પતિના ફળો ખાય છે અને જંગલમાં લાંબા અંતર સુધી ઉડીને તે ફળોના બીજનો ફેલાવો કરે છે. તેમની આ આદતના કારણે જંગલોમાં આપોઆપ નવા વૃક્ષો ઉગે છે અને જંગલનું કુદરતી પુનર્જીવન (Natural Regeneration) ઝડપી બને છે. ગીરમાં તેમની હાજરીથી આવનારા વર્ષોમાં વનસ્પતિની વિવિધતામાં મોટો વધારો જોવા મળશે.
ઘોરાડ પક્ષીના સંરક્ષણમાં પણ મોટી સફળતા
આ જ સમયગાળા દરમિયાન વન વિભાગને બીજી એક મોટી વૈજ્ઞાનિક સિદ્ધિ પણ સાંપડી છે. અત્યંત દુર્લભ અને વિલુપ્ત થવાના આરે પહોંચેલા ‘ઘોરાડ પક્ષી’ (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ) ના સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા હાથ ધરાયેલી અદભુત ‘જમ્પ-સ્ટાર્ટ’ ટેકનિક રંગ લાવી છે. આ ટેકનિકની મદદથી જન્મેલું ઘોરાડ પક્ષીનું બીજું બચ્ચું જન્મ પછીના અત્યંત નાજુક અને કટોકટીભર્યા ગણાતા 40 દિવસો સફળતાપૂર્વક જીવી ગયું છે, જે પક્ષીવિદો માટે બહુ મોટા હર્ષના સમાચાર છે.