રેમડેસિવિર ઇન્જેક્શનની અછત દૂર થશે તેવો દાવો અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આ દાવો પોકળ સાબિત થયો છે. કારણ કે, હજુ પણ અમદાવાદમાં ઇંજેકશનની અછત વર્તાઈ રહી છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા હોમ આઇસોલેશનમાં રહેલાં દર્દીઓને ઇન્જેક્શન વિતરણની જવાબદારી આહનાને આપવામાં આવી હતી.હોમ આઇસોલેશનના દર્દીઓ માટે કોર્પોરેશન દ્વારા આહનાને 450 ઇન્જેક્શનો આપ્યાં બાદ તંત્ર દ્વારા વધુ ઇન્જેક્શનો આપવામાં આવ્યાં નથી. કોર્પોરેશને આહનાને કહ્યું કે, ‘ઇન્જેક્શનનો સ્ટોક નથી.’ આ બાબતને લઇને આહનાના ડૉ. વિરેન શાહે જણાવ્યું કે, ‘જો ઈન્જેકશન નહીં મળે તો હોમકેર દર્દીઓને અગાઉ ડોઝ આપવામાં આવ્યાં છે તેઓને બીજા ડોઝ નહીં મળે તો અગાઉના ડોઝનો કોઇ હેતુ રહેશે નહીં.’ આ સિવાય આહનાએ AMCમાં સંકલનનો અભાવ હોવાનું પણ કહ્યું છે, તેમજ અધિકારીઓ યોગ્ય જવાબ ના આપતા હોવાનો આક્ષેપ પણ કર્યો છે.તમને જણાવી દઇએ કે, શુક્રવારના રોજ 450 ઇન્જેક્શનના ડોઝ પૂર્ણ થયા બાદ હાલમાં પણ ઇન્જેક્શનના ડોઝ ન મળ્યાં હોવાંથી દર્દીઓના પરિવારજનો AHNA ની ઓફિસે ધક્કા ખાઈ રહ્યાં હોવાનું સામે આવ્યું છે. AHNA ના જોઈન્ટ સેક્રેટરીએ જણાવ્યું કે, ‘200થી વધુ દર્દીઓ ધક્કા ખાઈ રહ્યાં છે પરંતુ હજી પણ AMC એ ઇન્જેક્શન પૂરા પાડ્યાં નથી તેમ જણાવ્યું હતું.’
