અમદાવાદ શહેરમાં તાઉ-તે વાવાઝોડાની અસરના પગલે સતત બીજા દિવસે પણ મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ પડ્તો હતો. શહેરના સરખેજ, નવાપુરા, બાકરોલ અને સનાથલમાં વરસાદ શરૂ થતાની સાથે લાઈટ પણ જતી રહી છે. પૂર્વમાં પણ વસ્ત્રાલ, ઓઢવ સહિતના વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં 17થી 19 મે સુધી વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવેલી છે. અમદાવાદમાં પણ 17 મેથી 19 મે દરમિયાન પ્રતિ કલાક 20થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે એકથી બે ઇંચ વરસાદની શકયતા છે. બે દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો 4થી 10 ડિગ્રી ગગડી શકે છે. તાઉ-તે વાવાઝોડાના સંકટના પગલે AMCએ કેટલીક સૂચનાઓ અપાઈ છે, જેનું 17થી 19 મે સુધી નાગરિકોને ખાસ પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ આજે સાંજે 7.30 વાગ્યાથી 18 મે સવારે 5 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. વાવાઝોડું ગુજરાત પહોંચે તે પહેલા જ અમદાવાદમાં તેની અસર દેખાવાનું શરૂ થઈ ગયું છે. ગઈકાલે પણ શહેરના સાબરમતી, ચાંદખેડા, ન્યુ રાણીપ, મોટેરા સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેમાં 24 સ્થળે ઝાડ પડવાના બનાવો બન્યા હતા. તેમજ અમદાવાદ એસપી રિંગ રોડ, ગોતા, સોલા, જગતપુર, ચાંદલોડિયા, રામોલ વટવા સહિતના વિસ્તારમાં વીજળી ગુલ થઈ હતી.
