અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આજે 25 મે, 2021ના રોજ 3225 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે છેલ્લા 40 દિવસના સૌથી ઓછા નવા કોરોના કેસ છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 7,94,912 લાખ થઇ ગઇ છે. તો રાજ્યમાં આજે કોરોના નવા કેસ કરતા ત્રણ ગણા દર્દીઓ સાજા થયા છે.
આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 9676 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 7,22,741 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 90.92 ટકાના સ્તરે પહોંચ્યો છે.
ઉલ્લેખનિય છે કે, આજે ગુજરાતમાં કોરોનાથી 44 દર્દીઓના મોત થયા છે. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 9665 પહોંચી ગયો છે.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત નવા કેસોની સાથે સાથે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 62506 થઇ છે અને જેમાંથી હાલમાં 603 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
ગુજરાતમાં આજે કુલ 2,28,810 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. રસીકરણના ત્રીજા તબકકામાં ગુજરાતમાં આજે 18થી 44 વર્ષ સુધીના 1,28,283 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મૂકવામાં આવ્યો છે. તો 45થી વધુ વયના કુલ 63,781 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 25,554 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યુ છે. આમ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1,58,30,183 કોરોના રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.