કોરોના સંકટના પાછલા નાણાંકીય વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર અંદાજે આઠ ટકા ઘટયો હોવા છતાં ઘરેલું શેરબજારોમાં આવેલી તેજી એક જોખમી પરપોટા જેવી છે, એમ રિઝર્વ બેન્ક દ્વારા ગુરૂવારે જારી કરાયેલા તેના વાર્ષિક રિપોર્ટમાં જણાવાયું હતું. શેર બજારની તેજી શું વ્યવહારૂ છે? એવા એક અભ્યાસમાં રિઝર્વ બેન્કે નોંધ્યું છે કે, ખરી આર્થિક પ્રવૃત્તિમાં રિકવરી અને એસેટના ભાવમાં વધારો આ બન્ને વચ્ચે સુસંગતતા નથી જે ચિંતાનો વિષય કહી શકાય.
અર્થતંત્ર પાટે ચડવા સાથે અને કોરોનાની લહેર એક વખત થંભી ગયા બાદ સ્ટીમ્યુલ્સને તબક્કાવાર પાછા ખેંચવાની પણ રિઝર્વ બેન્ક દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. 15મી ફેબુ્રઆરીના રોજ બીએસઈ સેન્સેકસ 52154ની રેકોર્ડ સપાટીએ જોવાયો હતો અને 23મી માર્ચ 2020ના સ્તરની સરખામણીએ આ આંક 100.70 ટકા ઊંચો છે. સેન્સેકસ હાલમાં 51000ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.
નાણાં વર્ષ 2020-21માં એક તરફ દેશનો આર્થિક વિકાસ દર આઠ ટકા ઘટયો હોવાનો અંદાજ છે ત્યારે ઈક્વિટીમાં આટલો ઉછાળો પરપોટા જેવો છે, જે ગમે ત્યારે ફૂટી શકે છે. આર્થિક રિકવરીને ટેકો પૂરો પાડવા પૂરી પડાયેલી લિક્વિડિટી એસેટના ભાવમાં અવ્યવહારૂ ઉછાળામાં પરિણમે છે અને લિક્વિડિટીનો ટેકો કાયમી ચાલુ રહેશે તેવી અપેક્ષા રાખી શકાય નહીં એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
શેરબજારની વર્તમાન તેજી એફપીઆઈના ફલોસ તથા નાણાં પૂરવઠાને કારણે જોવા મળી રહી છે. શેરબજારની વધઘટમાં આર્થિક સ્થિતિનું પણ મહત્વ રહે છે, પરંતુ એફપીઆઈ તથા નાણાં પૂરવઠાની સરખામણીએ તેની અસર ઓછી જોવા મળે છે. કોર્પોરેટ અર્નિંગ્સમાં સુધારો અપેક્ષા કરતા વધુ હોવાનું ધ્યાનમાં લઈએ તો પણ સ્ટોકના ભાવ માત્ર ફન્ડામેન્ટલ્સથી ટકી શકતા નથી.