બેન્કોમાં રહેલી તમારી મહામૂલી થાપણો સંપૂર્ણપણે સુરક્ષિત છે તેની હવે કોઇ ખાતરી નથી. કારણ કે રિઝર્વ બેન્ક દ્વારા જમા થાપણ અંગેના વીમા કવચ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. આથી જો કોઇ બેન્ક ફડચામાં જાય તો તેના થાપણદારો માટે પોતાની રકમ મેળવવાનો એક માત્ર રસ્તો ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (ડીઆઇસીજીસી) દ્વારા આપવામાં આવતું થાપણ વીમા કવચ છે. આ થાપણ વીમા કવચ છેલ્લે 4, ફેબ્રુઆરી 2020ના રોજથી 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવ્યું હતું.
રિઝર્વ બેન્કના તાજેતરના વાર્ષિક અહેવાલમાં જણાવ્યા મુજબ, માર્ચ 2021ના અંતે બેન્કોમા સંપૂર્ણપણે સુરક્ષિત એકાઉન્ટની સંખ્યા 247.8 કરોડ હતી, જે કુલ 252.6 કરોડ બેન્ક એકાઉન્ટના 98.1 ટકા છે. એનો અર્થ એ છે કે 4.8 કરોડ બેન્ક ખાતાઓમાં રહેલી થાપણો ડીઆઇસીજીસી દ્વારા આપવામાં આવતા ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કવચ હેઠળ સુરક્ષિત નથી.
રિઝર્વ બેન્ક દ્વારા જારી કરવામાં આવેલ વાર્ષિક અહેવાલ મુજબ માર્ચ 2021ના અંત સુધી બેન્કોમાં કુલ સુરક્ષિત થાપણો 76,21,258 કરોડ રૂપિયા હતી. જે બેન્કોમાં જમા થયેલી કુલ 1,49,67,776 કરોડ થાપણોની માત્ર 50.9 ટકા જ રકમ છે. એનો મતલબ એ છે કે, બેન્કોમાં જમા 49.1 ટકા થાપણોને ડીઆઇસીજીસીનું વીમા કવચ પ્રાપ્ત થતું નથી. સરકાર દ્વારા બેન્કોમાં જમા થાપણો માટેનું વીમા કવચ વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે પરંતુ તમામ થાપણોને વીમા કવચ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું નથી પરંતુ આ સુવિધા તમામ બેન્કો માટે ઉપલબ્ધ છે.
આ સુવિધા મેળવવા માટે બેન્કોએ રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અને સંબંધિત વીમા પ્રીમિયમની ચૂકવણી કરીને નાણાંકીય સુરક્ષાનો લાભ મેળવી શકે છે. રિઝર્વ બેન્કના વાર્ષિક રિપોર્ટ મુજબ થાપણોને વીમા કવચ ન મળવાનું કારણ બેન્કોનું ડીઆઇસીજીસી સાથે રજિસ્ટ્રેશન ન હોવું કે પ્રીમિયમની ચૂકવણી ન કરવી હોઇ શકે છે. જો કે, તે કેટલાક અધિકાર અને ક્ષમતાના હિસ્સામાં ખાતાધારક દ્વારા વધારે થાપણના કિસ્સામાં પણ આવું થઈ શકે છે.
25 લાખની ડિપોઝિટ હોય તો મહત્તમ કવર ફક્ત 5 લાખ રૂપિયા
દાખલા તરીકે, જો તમારી પાસે સમાન અધિકાર અને ક્ષમતામાં કુલ રૂ. 25 લાખની ડિપોઝિટ હોય તો મહત્તમ કવર ફક્ત 5 લાખ રૂપિયા જ રહેશે અને બાકીના 20 લાખ રૂપિયાની થાપણને આ સુરક્ષા મળશે નહીં.