પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકાર સામે બંગાળી અસ્મિતા સામે ઘૂંટણીયા ટેકનાર ભાજપ હવે ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં એ મુદ્દાઓની મદદ લેશે જે લોકો સાથે લાગણી રૂપે જોડાયેલા છે. ભાજપના સૂજ્ઞોએ જણાવ્યું કે, આગામી વર્ષે ભાજપ રામ મંદિરના મુદ્દાને પોતાની સફળતા ગણાવી તેને કેન્દ્રમાં રાખી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરતી જોવા મળશે. ભાજપ હાઈકમાન્ડ પણ એ વાતને સ્વીકારી રહ્યું છે કે, બંગાળમાં બંગાળી અસ્મિતાનો મુદ્દો ઉઠાવી મમતાએ બાજી પલટી હતી. તેથી ઉત્તર પ્રદેશમાં પણ રામ મંદિરનો મુદ્દો ઉઠાવવા પર લોકો સાથે જોડાવવું ભાજપ માટે સરળ બનશે. ભાજપના સૂત્રોએ જણાવ્યું કે, આગામી વર્ષે યોજાનાર ઉત્તર પ્રદેશ ચૂંટણીના પ્રચાર અભિયાનને 2 ભાગમાં વહેંચવામા આવશે. હાલ અમુક સમય માટે મહામારી દરમિયાન ભાજપ દ્વારા ચલાવવામાં આવી રહેલા કલ્યાણકારી કાર્યક્રમો પર જ ફોક્સ કરાશે. જ્યારે ચૂંટણી આવતા જ લોકોને રામ મંદિર સહિત એવા મુદ્દાઓ તરફ લઈ જવાશે જે ભાજપની હિન્દુત્વવાદી છબિ સાથે જોડાયેલા હશે. ચૂંટણીના અમુક સમય પહેલા જ ભાજપ રામ મંદિરના મુદ્દાને પોતાની સફળતા ગણાવી પ્રચાર કરશે. તાજેતરમાં થયેલી બેઠકોમાં કાર્યકરો પાયાના સ્તરે ઓછા સક્રિય હોવાને કારણે વિરોધી દળોને મજબૂત થવાની તક મળી હોવાની વાત સામે આવી હતી. જેને કારણે કાર્યકરોને વધુ સક્રિય કરવા પર પણ ભાર અપાશે.
