પ્રસિદ્ધ કથાકાર મોરારિબાપુની સદભાવના સફર: જૂનાગઢ-દેવલવાડા ટ્રેનમાં ગીરના જંગલો વચ્ચેથી પ્રવાસ કરી પહોચ્યા સોમનાથ
પ્રસિદ્ધ રામકથાકાર પૂજ્ય મોરારિબાપુ પોતાની સાદગી અને લોકભિમુખતા માટે જાણીતા છે. તાજેતરમાં તેમણે એક વિશિષ્ટ અને યાદગાર રેલવે સફર કરીને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા હતા. જૂનાગઢથી દેવલવાડા વચ્ચે દોડતી મીટરગેજ ટ્રેનમાં પ્રવાસ કરીને બાપુ વિસાવદરથી તાલાલા પહોંચ્યા હતા. ગીરના ગાઢ જંગલોની વચ્ચેથી પસાર થતી આ ટ્રેન સફર દરમિયાન તેમણે સામાન્ય મુસાફરો, સ્થાનિક લોકો અને હરિભક્તો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તાલાલા પહોંચ્યા બાદ પૂજ્ય બાપુ પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન અર્ચે રવાના થયા હતા.
મોરારિબાપુની આ અણધારી ટ્રેન યાત્રાને પગલે સામાન્ય જનતા અને ટ્રેનના મુસાફરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે મોટા ભાગના વિશિષ્ટ મહાનુભાવો અને ધાર્મિક વડાઓ કાર કે વિમાન દ્વારા પ્રવાસ કરતા હોય છે, પરંતુ બાપુએ ગીરની હરિયાળી અને કુદરતી સૌંદર્યની વચ્ચેથી પસાર થતી આ ઐતિહાસિક ટ્રેન સેવા પસંદ કરી હતી. વિસાવદર સ્ટેશનથી જ્યારે બાપુ ટ્રેનના ડબ્બામાં સવાર થયા, ત્યારે આસપાસના વિસ્તારમાં મોરારિબાપુના આગમનની ખબર વાયુવેગે ફેલાઈ ગઈ હતી.

ટ્રેન જ્યારે ગીરના જંગલ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે પૂજ્ય બાપુએ કુદરતી વાતાવરણની મજા માણી હતી. બારીમાંથી દેખાતી લીલીછમ વનરાજી અને પક્ષીઓના કલરવ વચ્ચે બાપુ પોતાની સહજ શૈલીમાં વિરાજમાન રહ્યા હતા. પોતાની આ સફરનો હેતુ સ્પષ્ટ કરતા અને પત્રકારો સાથે વાર્તાલાપ કરતા (બાઈટ આપતા) મોરારિબાપુએ ખુબ જ સુંદર વાત કહી હતી. તેમણે જણાવ્યું હતું કે, “બધા સામાન્ય લોકોને મળવાની, તેમની સાથે બેસવાની અને લોકસંપર્ક વધારવાની ઈચ્છા હતી. આ ટ્રેનની સફરથી જનસામાન્ય સાથે સીધો નાતો જોડાય છે અને જૂના સમયની પવિત્ર યાદો પણ તાજી થાય છે. એટલા માટે જ મેં આ રસ્તે ટ્રેન સફર કરવાનું પસંદ કર્યું છે.”
વિસાવદરથી તાલાલા સુધીના આ ટ્રેન પ્રવાસ દરમિયાન ડબ્બામાં બેઠેલા અન્ય મુસાફરો માટે પણ આ ક્ષણ અવિસ્મરણીય બની ગઈ હતી. મુસાફરોને સાક્ષાત મોરારિબાપુ પોતાની સાથે ટ્રેનમાં મુસાફરી કરતા જોઈને ભારે આનંદ અને આશ્ચર્ય અનુભવાયું હતું. લોકોએ બાપુના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા, તો બાપુએ પણ અત્યંત પ્રેમ અને સહાનુભૂતિપૂર્વક સૌની ખબર-અંતર પૂછ્યા હતા. નાના બાળકોથી લઈને વડીલો સુધીના મુસાફરો સાથે બાપુએ ક્ષેમકુશળતાની વાતો કરી હતી, જેનાથી સમગ્ર ટ્રેનમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ સર્જાયો હતો.
ગીરના હૃદયસમા તાલાલા સ્ટેશને જ્યારે ટ્રેન આવી પહોંચી, ત્યારે ત્યાં પણ સ્થાનિક લોકો, આગેવાનો અને ભક્તોનું મોટું ટોળું બાપુના સ્વાગત માટે એકત્ર થઈ ગયું હતું. તાલાલા ખાતે ઉષ્માભર્યું સ્વાગત ઝીલ્યા બાદ, પૂજ્ય મોરારિબાપુ રસ્તા માર્ગે સોમનાથ જવા રવાના થયા હતા. સોમનાથ પહોંચીને તેઓ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવના ચરણે શીશ નવાવશે અને વિશ્વશાંતિ તેમજ લોકકલ્યાણ માટે ખાસ પૂજા-અર્ચના કરશે.

મોરારિબાપુની આ ટ્રેન સફર માત્ર એક પ્રવાસ ન બની રહેતા, સાદગી, સમરસ્તા અને લોકપ્રેમનું સુંદર ઉદાહરણ બની રહી છે. ઈશ્વરના ભક્તો અને સામાન્ય જનતા વચ્ચે જઈને તેમના દુઃખ-સુખમાં ભાગીદાર બનવાની બાપુની આ સહજ શૈલીએ ફરી એકવાર લાખો લોકોના દિલ જીતી લીધા છે. સોમનાથ મહાદેવના દર્શન પૂર્વેની આ ‘ટ્રેન યાત્રા’ ગીર સોમનાથ અને જૂનાગઢ પંથકના લોકો માટે લાંબા સમય સુધી યાદગાર બની રહેશે.