નાદારીના આરે ઉભેલી એક કંપનીના માર્કેટકેપમાં અધધધ… 1000 ટકાનો ઉછાળો આવતા કોર્પોરેટ સેક્ટરમાં સનસની મચી ગઇ છે. એક સમયે દેશના ટોચના ઉદ્યોગપતિઓમાંથી દેવાળીયા બની ગયેલા અગ્રણી ઉદ્યોગપતિ અનિલ અંબાણીના રિલાયન્સ જૂથની માર્કેટ કેપ ત્રણ મહિનાથી ઓછા સમયમાં ૧૦૦૦ ટકા વધીને રૂ. ૮,૦૦૦ કરોડ થઈ ગઈ છે. રિલાયન્સ જૂથની કંપનીઓમાં સકારાત્મક પરીબળોને પગલે કંપનીઓની માર્કેટ કેપમાં જબરજસ્ત ઊછાળો નોંધાયો છે. રિલાયન્સ જૂથની માર્કેટ કેપ માર્ચમાં રૂ. ૭૩૩ કરોડ હતી, જે મે મહિનામાં વધીને રૂ. ૩,૮૯૦ કરોડ અને ૧૮મી જૂન ૨૦૨૧ના સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે રૂ. ૭,૮૬૬ કરોડ થઈ હતી.
અનિલ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ગૂ્રપની કંપનીઓ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ પાવર અને રિલાયન્સ કેપિટલની માર્કેટ કેપ છેલ્લા ૨૦ ટ્રેડિંગ દિવસમાં બમણાથી વધુ થઈ ગઈ છે. રિલાયન્સ પાવરની માર્કેટ કેપ હાલ રૂ. ૪,૪૪૬ કરોડ, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની રૂ. ૨,૭૬૭ કરોડ અને રિલાયન્સ કેપિટલની રૂ. ૬૫૩ કરોડ છે. બીએસઈ પર રિલાયન્સ કેપિટલના ભાવ ત્રણ મહિનામાં રૂ. ૧૧.૦૮થી વધીને રૂ. ૨૬.૧૭ થયો છે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાવ પણ ત્રણ મહિનામાં રૂ. ૩૨.૩૫થી વધીને રૂ. ૧૦૫.૩૦ થયો છે. રિલાયન્સ પાવરનો ભાવ ત્રણ મહિનામાં રૂ. ૪.૪૮થી વધીને રૂ. ૧૬.૨૩ થયો છે.
રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ પાવર અને રિલાયન્સ કેપિટલના અંદાજે ૫૦ લાખ રીટેલ રોકાણકારો છે, જેમણે ગૂ્રપમાં વિશ્વાસ જાળવી રાખતાં તેમની સંપત્તિમાં પણ અસાધારણ વધારો થયો છે. ભારતમાં રિલાયન્સ ગૂ્રપમાં રિટેલ રોકાણકારો સૌથી વધુ છે. રિલાયન્સ પાવરમાં રિટેલ શેરધારકો ૩૩ લાખ, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૯ લાખ અને રિલાયન્સ કેપિટલમાં ૮ લાખ છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં એફઆઈઆઈ/ મ્યુચ્યુઅલ ફંડ્સે રિલાયન્સ ગૂ્રપ કંપનીઓમાંથી વિદાય લીધી છે અને રિલાયન્સના શૅર્સ ધરાવતા લેન્ડર્સે તેમના શૅર્સ બજારમાં વેચી દીધા છે, જે રિટેલ રોકાણકારોએ ખરીદ્યા હતા. અનિલ અંબાણીના ગૂ્રપની કંપનીઓની માર્કેટ કેપમાં વધારો થતાં રિટેલ રોકાણકારોની સંપત્તિમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.