અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આજે 29 જૂન, 2021ના રોજ 93 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 8,23,433 લાખ થઇ ગઇ છે. આજે 20 જીલ્લાઓમાં કોરોના સંક્રમણનો એક પણ નવો કેસ નોંધાયો નથી જેમાં અમદાવાદ, અરવલ્લી, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, જુનાગઢ કોર્પોરેટ, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, સાબરકાંઠા, તાપી, વલસાડનો સમાવેશ થાય છે.
આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 326 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 8,10,147 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 98.39 ટકાના સ્તરે પહોંચ્યો છે.
ઉલ્લેખનિય છે કે, આજે ગુજરાતમાં કોરોનાથી 2 દર્દીઓના મોત થયા છે. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 10056 પહોંચી ગયો છે.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત નવા કેસોની સાથે સાથે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 3230 થઇ છે અને જેમાંથી હાલમાં 11 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
ગુજરાતમાં આજે કુલ 2,65,614 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. આમ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 2,53,93,866 કોરોના રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.