જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અંગે રાજકારણ ગરમાયું: રાહુલ ગાંધી વિરુદ્ધ કિરેન રિજિજુ
રાજધાની દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન અને ત્યારબાદ થયેલી પોલીસ કાર્યવાહીને લઈને દેશનું રાજકારણ ભારે ગરમાયું છે. પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસના કથિત લાઠીચાર્જ અને બળપ્રયોગ અંગે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુના નિવેદન બાદ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમના પર તીખો આકરો પલટવાર કર્યો છે.
સંસદ ભવન નજીક બનેલી આ ઘટના અંગે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ સામે ગંભીર સવાલો ઊભા કરતાં દાવો કર્યો છે કે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા નિરપરાધ વિદ્યાર્થીઓ પર અમાનુષી બળપ્રયોગ કરવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધીનો સરકાર અને મંત્રીઓ પર સીધો હુમલો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રીઓના નિવેદનોની સખત શબ્દોમાં ટીકા કરતાં જણાવ્યું કે, “મોદી સરકારના મંત્રીઓ દિલ્હી પોલીસની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે, જે અત્યંત શરમજનક છે. દેશની સંસદથી માંડ અડધો કિલોમીટર દૂર પોતાના હક માટે અવાજ ઉઠાવી રહેલા શાંતિપ્રિય વિદ્યાર્થીઓ પર પેલેટ ગન અને ખીલા જડેલા ડંડાઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસક કાર્યવાહીમાં એક નિર્દોષ બાળકે પોતાની એક આંખ ગુમાવી દીધી છે, જ્યારે એક છોકરીએ પોતાના કાનની શ્રવણશક્તિ ગુમાવી દીધી છે. શું આવી નિર્દયતા અને કઠોરતા માટે પોલીસની પ્રશંસા થવી જોઈએ?”
પોતે વ્યક્તિગત રીતે ઘાયલ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને મળ્યા હોવાનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ ઉમેર્યું હતું કે, “આ આખી ઘટનાના હજારો વીડિયો સોશિયલ મીડિયા અને મીડિયામાં દેશની જનતાએ જોયા છે. આ સરકારનો પાયાનો મંત્ર જ ‘જૂઠાણું અને હિંસા’ બની ગયો છે. પહેલાં દેશના ભવિષ્ય સમાન બાળકો પર બરબરતાપૂર્વક લાઠીચાર્જ કરો અને પછી નિર્લજ્જતાથી એવો દાવો કરો કે કાંઈ થયું જ નથી.”
ગૃહમંત્રી અને વડાપ્રધાન પર પ્રહારો કરતા વિપક્ષી નેતાએ કહ્યું કે, ગૃહમંત્રી આખા સત્ર દરમિયાન વિપક્ષના સવાલોથી ભાગતા રહ્યા અને વડાપ્રધાને હજુ સુધી ઘાયલ વિદ્યાર્થીઓની માફી માંગી નથી. આ દેશ માટે સૌથી મોટો ખતરો એવા બુદ્ધિહીન લોકો છે જેઓ પોતાની ભૂલો જોતા પણ નથી અને સ્વીકારતા પણ નથી.
કિરેન રિજિજુનો દાવો: ‘પોલીસ પ્રશંસાને પાત્ર છે’
બીજી તરફ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ એક મુલાકાતમાં પોલીસ કાર્યવાહીનો મજબૂત બચાવ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, “આટલા મોટા વિરોધ પ્રદર્શન દરમિયાન એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી, એક પણ હાડકું તૂટ્યું નથી કે કોઈ પણ પ્રદર્શનકારી ગંભીર રીતે ઘાયલ થઈને હોસ્પિટલમાં ભર્તી થયો નથી. પરિસ્થિતિને અત્યંત શાંતિપૂર્ણ અને સંયમપૂર્વક સંભાળવા બદલ દિલ્હી પોલીસ ખરેખર પ્રશંસાને પાત્ર છે.”
રિજિજુએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે વિદ્યાર્થીઓના આ આંદોલનમાં ઘણા ગુનેગારો પણ ઘૂસી ગયા હતા. તેમના જણાવ્યા મુજબ, પ્રદર્શનમાં અડધાથી વધુ લોકો આમ આદમી પાર્ટી, ભીમ આર્મી અને સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ હતા, જેમણે ભીડને ઉશ્કેરીને હિંસા ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે જ્યારે આ લોકો સંસદ ભવન તરફ બેરિકેડ તોડીને કૂચ કરવા લાગ્યા ત્યારે તેમને રોકવા જરૂરી હતા અને તે દરમિયાન એક પણ લાકડીનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. યુપીએ શાસનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જો આ પ્રકારનું પ્રદર્શન કોંગ્રેસના સમયમાં થયું હોત તો હજારો લોકો માર્યા ગયા હોત.
દિલ્હીના જંતર-મંતર પર બનેલી આ ઘટના બાદ હવે વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે શરૂ થયેલું આ વાગ્યુદ્ધ આવનારા દિવસોમાં સંસદથી લઈને શેરીઓ સુધી વધુ ઉગ્ર બને તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે.