સિંધુ જળ સંધિ અંગે ભારતનો વિશ્વ મંચ પર જડબાતોડ જવાબ: હેગ કોર્ટના ચુકાદાને ફગાવી ભારતે કહ્યું- ‘લોહી અને પાણી એકસાથે ન વહી શકે’
સીમાપારથી થતા આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે ભારતે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાનું આક્રમક અને સ્પષ્ટ વલણ છતું કર્યું છે. પાકિસ્તાન સાથે દાયકાઓ જૂની સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) પુનઃસ્થાપિત કરવા અંગે હેગ સ્થિત આર્બિટ્રેશન કોર્ટ (Permanent Court of Arbitration) દ્વારા આપવામાં આવેલા ચુકાદાને ભારતે સખત શબ્દોમાં નકારી કાઢ્યો છે. ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે આંતરરાષ્ટ્રીય કોર્ટ પાસે ભારતના સાર્વભૌમ નિર્ણયો પર આદેશ આપવાની કે મધ્યસ્થી કરવાની કોઈ સત્તા નથી. ૨૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સામે લાલ આંખ કરીને સ્થગિત કરવામાં આવેલી આ સંધિ આગળ પણ સંપૂર્ણપણે સ્થગિત જ રહેશે.
લોહી અને પાણી એકસાથે વહી શકે નહીં: ભારતનો અડગ નિર્ણય
વિદેશ મંત્રાલય (MEA) દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં ભારપૂર્વક જણાવાયું છે કે, ભારત પોતાના દેશના નાગરિકોની સુરક્ષા અને દેશની અખંડિતતા સાથે કોઈ સમજૂતી કરશે નહીં. સપ્ટેમ્બર ૧૯૬૦ માં વિશ્વ બેંકની મધ્યસ્થીથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદી પ્રણાલીના પાણીની વહેંચણી માટે આ કરાર કરવામાં આવ્યો હતો. પરંતુ, પાકિસ્તાન સતત પોતાની ધરતીનો ઉપયોગ ભારત વિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કરી રહ્યું છે.
ભારતે પોતાના જૂના અને મજબૂત વલણનો પુનરોચ્ચાર કરતા સ્પષ્ટ કહ્યું છે કે “લોહી અને પાણી ક્યારેય એકસાથે વહી શકતા નથી.” જ્યાં સુધી પાકિસ્તાન સરકાર તેની સરહદમાંથી ચાલતા આતંકવાદી સંગઠનો અને આતંકવાદી અડ્ડાઓનો સંપૂર્ણપણે નાશ ન કરે અને નક્કર, પરિણામલક્ષી પગલાં ન ભરે, ત્યાં સુધી સિંધુ જળ સંધિ પુનર્જીવિત કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. ભારતનો આ નિર્ણય સંપૂર્ણપણે વાજબી છે અને તે અમલમાં જ રહેશે.
હેગ કોર્ટને ભારતે ગણાવી ગેરકાયદેસર ટ્રિબ્યુનલ
હેગ કોર્ટે પોતાના ચુકાદામાં દાવો કર્યો હતો કે ભારત પાસે આ સંધિને એકતરફી રીતે સ્થગિત કરવાનો કે સમાપ્ત કરવાનો કોઈ કાનૂની આધાર નથી. જોકે, ભારતે આ ચુકાદાને પ્રારંભથી જ ફગાવી દીધો છે. વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે આ કોર્ટની રચના જ વિશ્વ બેંક દ્વારા સિંધુ જળ સંધિની મૂળ શરતોનું ગંભીર ઉલ્લંઘન કરીને કરવામાં આવી છે.
ભારતે ક્યારેય આ ગેરકાયદેસર રીતે રચાયેલી ટ્રિબ્યુનલને માન્યતા આપી નથી અને તેના આદેશો માનવા ભારત કાયદાકીય કે નૈતિક રીતે બંધાયેલું નથી. ભારતે શરૂઆતથી જ આ પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે ભારત ન તો આ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરશે કે ન તો તેની સમક્ષ હાજર થશે.
કિશનગંગા અને રેટલ પ્રોજેક્ટ્સ પર કોઈ અસર નહીં
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને સિંધુ પ્રણાલીની પશ્ચિમી નદીઓ પર નિર્માણ પામી રહેલા ભારતના મહત્વાકાંક્ષી ‘કિશનગંગા’ (Kishanganga) અને ‘રેટલ’ (Ratle) જળવિદ્યુત પ્રોજેક્ટ્સની ટેકનિકલ ડિઝાઇન સામે વાંધો ઉઠાવીને હેગ કોર્ટમાં મધ્યસ્થીની માંગ કરી હતી.
ભારતે આ અંગે આકરો વાંધો ઉઠાવતા સ્પષ્ટ કર્યું છે કે બંને દેશો વચ્ચેના વિવાદો કેવળ ટેકનિકલ સ્વભાવના છે. સંધિના મૂળ નિયમો અનુસાર, આ પ્રકારના મતોના તફાવતની તપાસ માત્ર એક ‘તટસ્થ નિષ્ણાત’ (Neutral Expert) દ્વારા જ થઈ શકે છે, નહીં કે કોઈ મધ્યસ્થ અદાલત દ્વારા. ભારતના જળવિદ્યુત પ્રોજેક્ટ્સ પોતાના ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યા છે અને હેગ કોર્ટના કોઈ પણ આદેશની ભારતીય પ્રોજેક્ટ્સની કામગીરી પર કોઈ અસર પડશે નહીં.
પાકિસ્તાન હાલમાં ભારે આર્થિક સંકટ અને પાણીની અછતનો સામનો કરી રહ્યું છે. તેવા સમયે ભારતે સિંધુ નદીના પાણી પર પોતાનું વલણ કડક રાખીને પાકિસ્તાન સામે એક મજબૂત કૂટનીતિક અને વ્યૂહાત્મક પકડ જાળવી રાખી છે, જે પાકિસ્તાન માટે આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ સૌથી મોટી સજા સાબિત થઈ રહી છે.
