ઇનકમ ટેક્સની નોટિસથી ડરતા નહીં! ITR ની ભૂલ પર આઇટીએટીનો મોટો નિર્ણય, કરોડો ટેક્સપેયર્સને મોટી રાહત!
આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરતી વખતે અજાણતાં થયેલી અનિચ્છનીય ટાઇપિંગ અથવા ડેટા એન્ટ્રીની ભૂલ (Clerical Error) ને આવકવેરા વિભાગ દ્વારા ‘અઘોષિત આવક’ (Undisclosed Income) માનીને ભારે દંડ કે ટેક્સ લાદવો કાયદાકીય રીતે અયોગ્ય છે. તાજેતરમાં ઇનકમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT મુંબઈ) એ એક પગારદાર કરદાતાના પક્ષમાં ચૂકાદો આપતાં ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયેલી નોટિસ અને ડિમાન્ડને સંપૂર્ણપણે રદ કરી દીધી છે.
આ કેસમાં ટેક્સપેયરે પોતાની ITR માં ભૂલથી ૯.૬ લાખ રૂપિયાના ઇપીએફ (EPF) ટ્રાન્સફર/ઉપાડને કરમુકત આવક તરીકે દર્શાવી દીધા હતા. ટ્રિબ્યુનલે તેના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે માત્ર રિટર્નમાં થયેલી માનવીય ભૂલના આધારે વાસ્તવિક ટેક્સની જવાબદારી નક્કી કરી શકાય નહીં.

શું હતો સમગ્ર મામલો?
ITAT મુંબઈએ પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે રિટર્નમાં માત્ર ખોટી એન્ટ્રીના આધારે ૯.૬ લાખ રૂપિયાને ટેક્સેબલ ઈનકમમાં ઉમેરવા વ્યાજબી નથી. ખાસ કરીને ત્યારે, જ્યારે એ વાતનો કોઈ જ પુરાવો ન હોય કે કરદાતાને EPFO તરફથી ખરેખર કોઈ પૈસા મળ્યા છે, તેણે EPFમાંથી રકમ ઉપાડી છે કે પછી તેના બેંક ખાતામાં આવી કોઈ રકમ જમા થઈ છે.
આ કેસ મુંબઈના બેલાપુર રોડ પર રહેતા મિસ્ટર ગોલેનો છે, જેમણે ૨૫ જુલાઈ, ૨૦૨૨ના રોજ પોતાનું આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું હતું અને તેમની કુલ વાર્ષિક સેલરી ૨૮.૨૫ લાખ રૂપિયા દર્શાવી હતી. જોકે, ITR ફાઈલ કરવામાં મદદ કરનાર વ્યક્તિની ભૂલને કારણે, સેક્શન 10(11) હેઠળ ૯.૬ લાખ રૂપિયાને ભૂલથી ટેક્સ-ફ્રી ઈનકમ તરીકે દર્શાવી દેવામાં આવ્યા હતા. આ કલમ પ્રોવિડન્ટ ફંડ એક્ટ, ૧૯૨૫ હેઠળ આવતા વૈધાનિક પ્રોવિડન્ટ ફંડ અથવા કેન્દ્ર સરકારના કેટલાક ખાસ નોટિફાઇડ PF ના પેમેન્ટ સાથે સંબંધિત છે.
મિસ્ટર ગોલે ગુજરાતમાં આવેલી એક પ્રાઇવેટ કંપનીમાં પ્લાન્ટ મેનેજર તરીકે કામ કરતા હતા. તેથી, તેઓ કેન્દ્ર સરકારના PF ને બદલે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) ના દાયરામાં આવતા હતા. બીજું, તેમણે ન તો પોતાના EPF માંથી કોઈ પૈસા ઉપાડ્યા હતા કે ન તો તેમને ૯.૬ લાખ રૂપિયાનું કોઈ વ્યાજ મળ્યું હતું. છતાં, ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે તેમને નોટિસ મોકલીને પોતાના દાવા માટેના દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું હતું.
આવકવેરા વિભાગની નોટિસ અને આકારણી
મુંબઈના કૌટિલ્ય ભવનના એસેસિંગ ઓફિસર (AO) મુજબ, મિસ્ટર ગોલે સેક્શન 10(11) હેઠળ દર્શાવેલી કરમુકત રકમ માટે સંતોષકારક દસ્તાવેજી પુરાવા રજૂ કરી શક્યા નહોતા. AO નો એવો તર્ક હતો કે ગોલેએ રિટર્નમાં રકમ દર્શાવી હોવા છતાં ટેક્સ મુક્તિ સાબિત નથી કરી શક્યા, તેથી આ રકમ પર ટેક્સ લાગવો જોઈએ.
૧૧ માર્ચ, ૨૦૨૪ના રોજ સેક્શન 143(3) અને 144B હેઠળ એસેસમેન્ટ પૂરું કરીને, AO એ તેમની ટેક્સેબલ આવકમાં ૯.૬ લાખ રૂપિયા ઉમેરી દીધા. આ નિર્ણય સામે કમિશનર ઓફ અપીલ્સ (CIT A) એ પણ એસેસિંગ ઓફિસરના પગલાંને યોગ્ય ઠેરવ્યું, જેનાથી નારાજ થઈને મિસ્ટર ગોલેએ ITAT મુંબઈમાં અપીલ કરી. તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરુણ ગુપ્તાએ ITAT માં તેમનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો અને ૧૯ જૂન, ૨૦૨૬ના રોજ ગોલે આ કેસ જીતી ગયા.
કોર્ટમાં કરદાતાનો વિજય કેવી રીતે થયો?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ગોલેએ ITAT મુંબઈ સમક્ષ સ્પષ્ટ કર્યું કે સેક્શન 10(11) હેઠળ PF નો જે વિગતવાર ઉલ્લેખ થયો હતો તે માત્ર ક્લેરિકલ અને ડેટા-એન્ટ્રીની એક સામાન્ય ભૂલ હતી. વાસ્તવમાં આવી કોઈ જ રકમ પ્રાપ્ત થઈ નહોતી. પોતાની રજૂઆતના સમર્થનમાં તેમણે ફોર્મ-16, ફોર્મ 26AS, બેંક સ્ટેટમેન્ટ્સ, નાણાકીય વર્ષ દરમિયાન કોઈ ઉપાડ ન થયો હોવાનું દર્શાવતું EPFO એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને એક સોગંદનામું (Affidavit) રજૂ કર્યું હતું.

આ સોગંદનામામાં તેમણે સ્પષ્ટપણે સ્વીકાર્યું હતું કે પ્રોવિડન્ટ ફંડમાંથી કોઈ રકમ ઉપાડવામાં આવી નથી કે ૯.૬ લાખ રૂપિયાની કોઈ વધારાની રકમ મળી નથી. કરદાતાએ એ પણ સાબિત કર્યું કે આ ભૂલભરેલી માહિતીથી તેમને કોઈ ટેક્સનો ફાયદો થયો નહોતો.
ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે નહોતો કોઈ નક્કર પુરાવો
ITAT મુંબઈએ નોંધ્યું કે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે ૯.૬ લાખ રૂપિયા કરદાતાને મળ્યા હોવાનો કોઈ આધાર કે પુરાવો નહોતો. EPFO માંથી ઉપાડનો કોઈ રેકોર્ડ નહોતો અને બેંક એકાઉન્ટમાં પણ કોઈ ટ્રાન્ઝેક્શન જોવા મળ્યું નહોતું. બીજી તરફ, કરદાતા દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોથી એ સાબિત થતું હતું કે આ રકમ માત્ર કાગળ પરની ભૂલ હતી, કોઈ વાસ્તવિક આવક નહોતી.
ટ્રિબ્યુનલે એ બાબત પર પણ ભાર મૂક્યો કે જ્યાં સુધી વિભાગ પાસે વિરોધી પુરાવા ન હોય ત્યાં સુધી કરદાતાના સોગંદનામાને માત્ર શંકા કે અંદાજના આધારે ફગાવી શકાય નહીં. વધુમાં, સેક્શન 10(11) પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓને લાગુ જ પડતું નથી. આથી જે કાનૂની આધાર પર એસેસિંગ ઓફિસરે ટેક્સ ઉમેર્યો હતો તે જ મૂળભૂત રીતે ખોટો હતો.
