શું ટમેટાં ખાવાથી ફેટ લીવર મટી શકે? નવા રિસર્ચમાં થયો આશ્ચર્યજનક ખુલાસો!
ટમેટાં લાંબા સમયથી આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક ગણાય છે, જેમાં સામાન્ય રીતે ‘લાઇકોપીન’ (Lycopene) નામના પોષક તત્વને બધી ક્રેડિટ મળતી આવી છે. પરંતુ ટફ્ટ્સ યુનિવર્સિટી (Tufts University) ના સંશોધકો દ્વારા કરવામાં આવેલા નવા સંશોધન મુજબ, ટમેટાંમાં ‘ફાઇટોઇન’ (Phytoene) નામનું એક ઓછું જાણીતું તત્વ પણ રહેલું છે, જે લીવરમાં ચરબી જમા થતી અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ફાઇટોઇન એ રંગહીન કૅરોટીનોઇડ (Carotenoid) છે. છોડ આ તત્વનો ઉપયોગ લાઇકોપીન અને અન્ય રંગદ્રવ્યો બનાવવા માટે એક પ્રારંભિક ઘટક તરીકે કરે છે. લાલ ચટ્ટક ટમેટાંને તેમનો રંગ લાઇકોપીનથી મળે છે, પરંતુ કેટલાક હળવા, સફેદ-ક્રીમ અથવા સોનેરી-નારંગી રંગના ટમેટાંમાં ફાઇટોઇનનું પ્રમાણ વધુ જળવાઈ રહે છે. વૈજ્ઞાનિકોએ એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે શું ફાઇટોઇન પોતે લીવરના સ્વાસ્થ્યમાં સુધારો કરી શકે છે અને વધુ પડતા કાર્બોહાઇડ્રેટવાળા ખોરાકથી થતા ચયાપચયના નુકસાન સામે રક્ષણ આપી શકે છે કે કેમ.

અભ્યાસમાં સામે આવ્યું: ફાઇટોઇનથી લીવરમાં ચરબી ઘટી
‘મોલેક્યુલર ન્યુટ્રિશન એન્ડ ફૂડ રિસર્ચ’ જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસમાં સંશોધકોએ ઉંદરો પર પ્રયોગ કર્યા હતા. ઉંદરોને વધુ પડતા કાર્બોહાઇડ્રેટવાળો એવો ખોરાક આપવામાં આવ્યો જે સામાન્ય રીતે ફેટ લીવરની સમસ્યા પેદા કરે છે. ત્યારબાદ કેટલાક ઉંદરોને આ ખોરાકની સાથે ફાઇટોઇનનું સપ્લીમેન્ટ પણ આપવામાં આવ્યું.
૨૪ અઠવાડિયાં સુધી ચાલેલા આ પ્રયોગ બાદ જાણવા મળ્યું કે જે ઉંદરોને ફાઇટોઇન આપવામાં આવ્યું હતું, તેમના લીવરમાં ચરબીનો ભરાવો ઓછો થયો હતો અને સામાન્ય ઉંદરોની સરખામણીમાં તેમનું વજન પણ ઓછું વધ્યું હતું. આ હકારાત્મક અસર નર અને માદા બંને ઉંદરોમાં જોવા મળી હતી.
આ સાથે સંશોધકોએ BCO1 અને BCO2 નામના બે એન્ઝાઇમ્સ (ઉદ્દીપકો) ન ધરાવતા જેનિટિકલી મોડિફાઇડ ઉંદરો પર પણ પ્રયોગ કર્યો. શરીરમાં કૅરોટીનોઇડ્સનું પાચન કરવા અને તેને સુચારુ રીતે પ્રોસેસ કરવા માટે આ બંને એન્ઝાઇમ્સ ખૂબ જરૂરી હોય છે. આ પ્રયોગથી વૈજ્ઞાનિકોને એક મહત્વનો સુરાગ મળ્યો.
મોટો ટ્વિસ્ટ: તમારું શરીર ફાઇટોઇનને કેવી રીતે પ્રોસેસ કરે છે તે મહત્વનું છે
સામાન્ય ઉંદરોમાં ફાઇટોઇને લીવરને ચરબીથી બચાવવાનું કામ કર્યું, પરંતુ BCO1 અને BCO2 એન્ઝાઇમ્સ ન ધરાવતા મોડિફાઇડ ઉંદરોમાં આ ફાયદો બિલકુલ જોવા મળ્યો નહીં.
આશ્ચર્યની વાત એ હતી કે એન્ઝાઇમ્સ વગરના ઉંદરોના લોહી અને લીવરમાં ફાઇટોઇનનું પ્રમાણ સામાન્ય ઉંદરો કરતાં ઘણું વધારે જમા થયું હતું. આમ છતાં, તેમના લીવરની ચરબીમાં કોઈ ઘટાડો થયો નહીં. આના પરથી વૈજ્ઞાનિકો એવા તારણ પર આવ્યા કે ફાઇટોઇન પોતે જ સીધું કામ નથી કરતું, પરંતુ લીવરને રક્ષણ આપવા માટે શરીર દ્વારા તેનું અન્ય ઘટકોમાં રૂપાંતર (Metabolize) થવું જરૂરી છે.
સંશોધનમાં એ પણ જોવા મળ્યું કે આ પ્રક્રિયા દરમિયાન SIRT1 સંબંધિત બાયોલોજિકલ પાથવેમાં ફેરફારો થાય છે, જે લીવરના કોષોમાં ચરબી નિયંત્રિત કરવા અને તેને બાળવામાં મદદ કરે છે. જોકે, ફાઇટોઇન તૂટીને કયા ચોક્કસ પેટા-ઘટકો (Metabolites) બને છે અને તે કેવી રીતે અસર કરે છે, તે અંગે હજુ વધુ સંશોધન ચાલુ છે.

શું ફાઇટોઇન ફેટ લીવરની સારવારમાં મદદરૂપ થઈ શકે?
આજના સમયમાં ફેટ લીવર, ખાસ કરીને ‘મેટાબોલિક ડિસફંક્શન-એસોસિએટેડ સ્ટીએટોટિક લિવર ડિસીઝ’ (MASLD), વિશ્વભરમાં એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની ગયું છે. તે સ્થૂળતા, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને ચયાપચયને લગતી અન્ય ઘણી બીમારીઓ સાથે જોડાયેલું છે.
આ નવું સંશોધન ખૂબ આશાસ્પદ છે કારણ કે તે ફેટ લીવરની અટકાયત અને સારવાર માટે એક નવો રસ્તો બતાવે છે. પરંતુ તેની એક મોટી મર્યાદા પણ છે: આ પ્રયોગ માત્ર ઉંદરો પર કરવામાં આવ્યો છે, માણસો પર નહીં. વળી, સંશોધકોએ ઉંદરોને સીધાં ટમેટાં ખવડાવવાને બદલે શુદ્ધ (Purified) ફાઇટોઇન આપ્યું હતું. તેથી, માત્ર પીળા કે સોનેરી ટમેટાં ખાવાથી જ માનવીઓમાં ફેટ લીવર મટી જશે કે અટકી જશે, તેવું હાલ કહી શકાય નહીં.
શું તમારે વધુ ટમેટાં ખાવાનું શરૂ કરી દેવું જોઈએ?
ટમેટાં એ અત્યંત પૌષ્ટિક આહાર છે. તેમાંથી કૅરોટીનોઇડ્સ, વિટામિન્સ, ફાઇબર અને શરીરને ઉપયોગી અન્ય ઘણા વનસ્પતિજન્ય તત્વો મળે છે. દૈનિક આહારમાં વિવિધ પ્રકાર શાકભાજીઓનો સમાવેશ કરવો એ એકંદરે સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ ટેવ છે.
પરંતુ માત્ર આ એક અભ્યાસના આધારે એવું માની લેવું યોગ્ય નથી કે ટમેટાંનું સેવન કરવાથી કે ફાઇટોઇનના સપ્લીમેન્ટ્સ લેવાથી માણસોમાં ફેટ લીવરની બીમારી મટી જશે. આ દિશામાં માનવ શરીર પર થનારા આગામી ક્લિનિકલ ટ્રાયલ્સ જ આખરી ચિત્ર સ્પષ્ટ કરશે.
