શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના’ચાઈના રશિયાનું યુદ્ધ અને ભાજપનો ધ્વજ’ જેવા શબ્દોનો ભાંગરો વટાતા લોકોમાં રમૂજ અને બે ઘડી મનોરંજન થયું હતું જોકે,મંત્રીએ ખોટા બોલાયેલા શબ્દો ફરી સુધારી લીધા હતા.
રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી આજે રાજકોટ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ સંમેલનમાં હાજર રહ્યા તે દરમ્યાન તેઓએ પોતાના ભાષણમાં ભાંગરો વાટયો હતો. શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે જ્યારે ચીન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલતું હતું એ સમયે PM મોદીએ રશિયા અને યુક્રેનને 6 કલાક યુદ્ધનો વિરામ કરવા કહ્યું હતું અને યુદ્ધનો વિરામ આવ્યો, કારણ કે વિદ્યાર્થીઓ ભાજપનો ધ્વજ લઈને નીકળ્યા હતા.
જોકે, બફાટ થઈ જતા રમૂજ ફેલાઈ અને અચાનક શિક્ષણમંત્રીને ભૂલનું ભાન થતાં તેમણે તરત શબ્દો સુધારી ચીનનું યુક્રેન અને ભાજપના ધ્વજની જગ્યાએ ભારતના રાષ્ટ્રધ્વજ એમ સુધાર્યું હતુ.
તેઓએ યુક્રેન -રશિયાને બદલે ચાઈના -રશિયા વચ્ચે યુદ્ધ એમ બોલ્યા અને ભારતના રાષ્ટ્રધ્વજ ને બદલે ભાજપનો ધ્વજ બોલી ગયા હતા.
જે સાંભળી ઉપસ્થિતો મલકાઈ ઉઠ્યા હતા.
ઉપરાંત વિપક્ષ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે પહેલાં સરકારી ભરતીમાં લેખિત પરીક્ષાઓ જ નહોતી લેવાતી. સીધો ઇન્ટરવ્યુ લેવાતો અને જેને પસંદ કરવા હોય તેને લઈ લેવામાં આવતા. આજે પણ સચિવાલયમાં તપાસ કરો તો કોંગ્રેસના બાપ-દાદાનાં બેંક એકાઉન્ટ નંબર નીકળશે. પહેલાંની સરકારમાં રૂપિયા લઈને જ સરકારી ભરતીઓ કરવામાં આવતી. અમે હવે લેખિત પરીક્ષા કરીએ છીએ.