મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાઈ અગ્રસેન ગેહલોતના ઘરે CBIની રેડ પડી હોવાના અહેવાલો છે,સીબીઆઈએ સીએમ અશોક ગેહલોતના ભાઈ અગ્રસેન ગેહલોતના ઘરે દરોડા પાડ્યા છે.
અગ્રસેન ગેહલોત ઉપર ખેડૂતો માટે ખરીદવામાં આવેલ પોટાશ ને ખાનગી કંપનીને વેચી નાખવાનો આરોપ છે.
આ પહેલા EDએ અગ્રસેન ગેહલોતના ઘરે દરોડા પાડ્યા હતા. સીબીઆઈની આ કાર્યવાહીને અશોક ગેહલોત દ્વારા દિલ્હીમાં રાહુલ ગાંધીના વિરોધ સાથે જોડવામાં આવી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સીબીઆઈની ટીમ શુક્રવારે સવારે સીએમ ગેહલોતના ભાઈ અગ્રસેન ગેહલોતના ઘરે પહોંચી હતી. આ ટીમમાં પાંચ અધિકારીઓ દિલ્હીના અને પાંચ અધિકારીઓ જોધપુરના છે. હાલ ટીમના સભ્યો તપાસમાં લાગેલા છે. જ્યારે અગ્રસેન ગેહલોત ઘરે છે. સીબીઆઈની એક ટીમ પાવટા સ્થિત તેની દુકાન પર પણ પહોંચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે 2012-13માં પોટાશ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ED અનુસાર, અગ્રસેન ગેહલોતની કંપની અનુપમ કૃષિ તેની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં મ્યુરિએટ ઓફ પોટાશ (MOP) ખાતરની નિકાસમાં સામેલ હતી. ઇન્ડિયન પોટાશ લિમિટેડ (IPL) MOP ની નિકાસ કરે છે અને ખેડૂતોને સબસિડી પર વેચે છે. અગ્રસેન ગેહલોત IPLના અધિકૃત ડીલર હતા. 2007 અને 2009 ની વચ્ચે, તેમની કંપનીએ સબસિડી દરે MOP ખરીદ્યું. તેને ખેડૂતોને વેચવાને બદલે નફા માટે અન્ય કંપનીને વેચી દેવામાં આવી હતી. તે કંપનીઓ ઔદ્યોગિક મીઠાના નામે MOP મલેશિયા અને સિંગાપોર લઈ ગઈ.
આ કેસની તપાસ EDમાં પેન્ડિંગ છે. આ કેસમાં કસ્ટમ વિભાગે અગ્રસેનની કંપની પર લગભગ 5.46 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો.