સરકારના અગ્નિપથ યોજના વિરુદ્ધ દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે આંદોલનની આગ ગુજરાત સુધી પહોંચી છે.
બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, દિલ્હી સહિત 13 રાજ્યમાં આ યોજના વિરુદ્ધ દેખાવો થઈ રહયા છે અને આ રાજ્યોનાં 40થી વધુ શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યા છે ત્યારે વિરોધની ચિનગારી ગુજરાત સુધી પહોંચી ગઈ છે, જેમાં જામનગરમાં આજે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્ર થઈ અગ્નિપથ’ યોજનાનો વિરોધ કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.
જામનગરમાં આજે વહેલી સવારે એસપી કચેરી નજીક વિદ્યાર્થીઓ રજૂઆત કરવા માટે એકત્ર થતા સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો.
અગ્નિપથ યોજનાના વિરોધમાં એસપી કચેરી નજીક મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થતા સ્થિતિ કાબુ બહાર જાય તે પહેલાં જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ સહિત એલ.સી.બી, એસ.ઓ.જી સહિતનો પોલીસસ્ટાફ દોડી ગયો હતો અને સમગ્ર સ્થળ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મોટી સંખ્યામાં યુવાનો એકઠા થતા અને દેકારો કરતા વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. જેથી પોલીસને હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. તેમજ કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરી હોવાનું પણ સામે આવ્યું છે.
જોકે,વિદ્યાર્થીઓની લાગણી ઉપર સુધી પહોંચાડવા તંત્ર દ્વારા ખાત્રી અપાતા મામલો થાળે પડ્યો હતો.
