પૈસા કમાવા લોકો જાતજાતના તિકડમ કરે છે અને પછી ભોપાળુ બહાર આવતા બધું પકડાય છે આવુજ કઈક ઉંઝા એપીએમસી માર્કેટના નકલી લાઈસન્સ કઢાવી તેના આધારે જુદી જુદી બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવીને રૂ.500 થી 600 કરોડનું ટેક્સ ચોરીનું કૌભાંડ ચાલતું હતું તે પકડાયું છે.
આ કૌભાંડમાં ખાતેદારોને 1 કરોડના ટ્રાન્જેક્શન ઉપર રૂ.10 હજાર કમિશન આપવામાં આવતું હતુ પણ આખરે મોટી રકમના થઈ રહેલા ટ્રાન્જેક્શનનો મામલો ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના રડારમાં ઝીલાતા કરોડોનું આ કૌભાંડ બહાર આવ્યું છે.
પોલીસે આ કૌભાંડમાં ધારક પટેલ, યોગેશ મોદી, ચિન્મય પટેલ, મૌલિક પારેખ, ઋતુલ પટેલ અને ઉદય મહેતા વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
જેમાં જણાવ્યા અનુસાર, ઋતુલ પટેલ અને ધારક મામા ફોઈના ભાઈ થતા હોય ઋતુલે ધારકને એવી ઓફર આવી હતી કે, અમે તારા નામથી ઉંઝા એપીએમસી માર્કેટનું લાઈસન્સ કઢાવીને જીરુ, વરિયાળી તેમજ અન્ય અનાજના ખરીદ-વેચાણનો ધંધો કરવા માંગીએ છીએ જેમાં રૂ. 1 કરોડના ટ્રાન્જેકશનના કમિશન પેટે તમને 10 હજાર મળશે અને આ રીતે કમિશનનો ધંધો ચાલુ થયો હતો.
પોલીસે તપાસ કરતા ઋતુલ અને ઉદયએ ધારકની જેમ જ યોગેશ મોદી, ચિન્મય પટેલ, મૌલિક પારેખના નામે પણ ખોટા લાઈસન્સ કઢાવીને તેમના કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા. જેમાં ઉદય અને ઋતુલે 500 થી 600 કરોડના ટ્રાન્જેકશન કરીને ઈન્કમટેક્સની ચોરી કરી હતી. જેથી અમદાવાદ ઘાટલોડિયા પોલીસે ધારકની અરજીની તપાસ કરતા આ કૌભાંડમાં ધારકે પણ કમિશનની લાલચમાં આવીને લાઈસન્સ – બેંક એકાઉન્ટ ખોલાવ્યું હોવાનું પુરવાર થયું હતું. જેથી પોલીસે 6 એ આરોપી સામે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.