રાજ્યમાં ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવાથી અનેક બિલ્ડરને ફાયદો થયા બાદ હવે સરકાર દ્વારા ઉદ્યોગોના અનધિકૃત બાંધકામને પણ નિયમિત કરવાની ગતિવિધિ શરૂ કરી છે.
રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતનું કહેવું છે કે રાજયમાં વધુને વધુ રોજગારીનું સર્જન થાય એ માટે સરકારે રાજ્યની જી.આઈ.ડી.સીમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
સરકારના આ નિર્ણયને પગલે ૭૦ હજારથી વધુ ઔદ્યોગિક એકમોને તેનો સીધો ફાયદો થશે તેમ મનાય છે.
મહત્વનુ છે કે જ્યારે નવી સરકાર બની ત્યારે ઉદ્યોગકારો દ્વારા ઉદ્યોગમંત્રીને રજુઆત કરવામાં આવી હતી કે નાના ઉદ્યોગકારોએ અનધિકૃત બાંધકામ કર્યું હોય તેને લાભ થવો જોઈએ.
હવે બેંકમાથી લોન લેવી સરળ બનશે. અગાઉ કોઈ પણ કામ માટે બેંકમા જતા તો મંજૂરી મળતી ન હતી.
હવે આ નિર્ણયથી લાભ થશે.
રાજ્યની જી.આઈ.ડી.સીમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાના નિર્ણય બાદ ૫૦ ચો.મીથી લઈને ૩૦૦ચો.મીથી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમિત કરાશે.
રાજ્યમાં ઔદ્યોગિક વિકાસના હેતુથી જી.આઇ.ડી.સી. અમલમાં આવી હતી, પરંતુ ઝડપી ઔદ્યોગિક વિકાસના કારણે જી.આઇ. ડી.સી વસાહતમાં અનઅધિકૃત બાંધકામોનો રાફડો ફાટ્યો હતો,આ પ્રકારના બાંધકામ દૂર કરવાથી આર્થિક, રોજગારી અને સંલગ્ન રોકાણ ઉપર નકારાત્મક અસર થવા પામે છે. આ બાબતો ધ્યાને લઇ આવા અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો નિર્ણય થયો છે, જે આગામી ચાર મહિના સુધી અમલમાં રહેશે. જી.આઇ.ડી.સી દ્વારા નાના અને મધ્યમ ઉદ્યોગો સ્થાપવા માટે ઉદ્યોગ સાહસિકોને તકો પુરી પાડી છે.
હાલ, ગુજરાતમાં ૨૨૦ થી પણ વધુ ઔદ્યોગિક વસાહતો આવેલી છે. જેમાં ૭૦,૦૦૦થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે, આ તમામને આ નીતિનો લાભ મળશે.
આ નવી નીતિના અમલથી જીઆઈડીસીમાં ૫૦ ચો.મીથી લઈને ૩૦૦ચો.મી થી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમીત કરાશે.
કુલ બાંધકામ ૫૦ ચો.મી. સુધીનું બાંધકામ નિયત કરવા માટે રૂા.૩૦૦૦ની ફી ભરવાની રહેશે. એ જ રીતે કુલ બાંધકામ ૫૦ ચો.મી.થી વધુ અને ૧૦૦ ચો.મી. સુધી રૂા. ૩૦૦૦ વત્તા વધારાના રૂા.૩૦૦૦,કુલ બાંધકામ ૧૦૦ ચો.મી. થી વધુ અને ૨૦૦ ચો.મી સુધી રૂા.૬૦૦૦ વત્તા વધારાના રૂા.૬૦૦૦,કુલ બાંધકામ ૨૦૦ ચો.મી. થી વધુ અને ૩૦૦ ચો.મી સુધી રૂા. ૧૨૦૦૦ વત્તા વધારાના રૂા.૬૦૦૦,તેમજ કુલ બાંધકામ ૩૦૦ ચો.મી. થી વધુ માટે રૂા.૧૮૦૦૦ વત્તા વધારાના રૂા.૧૫૦ પ્રતિ ચો.મી ૩૦૦ ચો.મી.થી વધારાના વિસ્તાર માટે ભરવાના રહેશે.
આમ,અનધિકૃત બાંધકામ નિયમિત કરવા સરકારની નવી નીતિ અમલમાં આવતા સબંધિત વર્તુળોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.