Bharuch: લોકસભા ચૂંટણી પૂર્ણ થાય બાદ હવે માત્ર પરિણામો બાકી છે ત્યારે ગઇકાલે ડેડિયાપાડા ટીડીઓ કચેરી ખાતે મનસુખ વસાવા અને ચૈતર વસાવા સામ-સામે આવી ગયેલા અને બંને વચ્ચે તુ તુ મેં મેં અને બોલાચાલી થઇ ગઈ હતી. જોકે પોલીસની ઉપસ્થિતીએ આખો મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનામાં બંને જૂથના ટેકેદારો પણ ઉમટ્યા હતા. આ મામલો વધુ ઉગ્ર બની ગયો હતો. આ અંગે મનસુખ વસાવાની દાદાગીરી સામે ચૈતર વસાવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ગઇકાલે મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ થકી પોસ્ટ કરી હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ટીડીઓને ધમકાવ્યા છે. ભાજપના લોકો ભેગા થાવ અને તાલુકા પંચાયત કચેરીએ પહોંચો, હું નીકળી ગયો છું.’ આ બાદ ડેડીયાપાડા તાલુકા પંચાયત ખાતે બંને જૂથના કાર્યકર્તાઓ ભેગા થઈ ચૂક્યા હતા. આ દરમિયાન ચૈતર વસાવા અને મનસુખ વચ્ચે ઉગ્ર તું તું મે મે થઈ ચૂકી હતી. જેમાં પોલીસ દરમિયાનગીરી કરીને મામલાને થાળે પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ ચૈતર વસાવા ડીવાયએસપી લોકેશ યાદવને આ મામલે લેખિત અને મૌખિક ફરિયાદ નોંધાવી હતી.
ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે અગાઉ પણ ભાજપના ઇશારે અમારી પર ખોટ કેસો થાય છે, અમે ઘણું સહન કર્યું છે. જો પોલીસ દ્વારા એકતરફી કાર્યવાહી કરવામાં આવશે તો અમે પણ મેદાને ઉતરવાના છીએ. જેટલો તંત્ર તરફથી સહકાર મળશે એટલો અમે આપશુ. અન્યથા લાખોની સંખ્યામાં આદિવાસીઓ ડેડીયાપાડામાં આંદોલન કરશે અને પછી જે સ્થિતિ સર્જાશે તેના જવાબદાર મનસુખભાઇ પોતે રહેશે. જો કોઈ રોફ જમાવવાની કોશિશ કરશે તો સંઘર્ષમાં ઉતરીશું.