Rajkot Fire: રાજકોટ ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડને લઈ કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરની કચેરી બહાર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ચક્કાજામ સાથે રામધૂન કરવામાં આવી હતી. અગ્નિકાંડમાં મોતને ભેટેલા હતભાગીઓ માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી. કોંગ્રેસના આક્રમક વિરોધ પ્રદર્શનને લઈ ભારે અફરાતફરી મચી જવા પામી હતી.
રાજકોટ અગ્નિકાંડની ઘટના બની ત્યારથી જવાબદારો સામે કડક રાહે પગલા અને ભોગ બનનારના પરિવારજનોને મોટું વળતર અને ન્યાયની શાંતિપુર્ણ માંગણી કરતી આવેલી કોંગ્રેસના આંદોલનનો અલગ વળાંક આપ્યો છે. પત્રિકા વિતરણ, ઉપવાસ આંદોલન, ધરણા અને પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર કચેરીમાં રામધૂન બોલાવાઇ હતી. સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા સીટની તપાસ સામે વધુ એકવાર શંકા દર્શાવવામાં આવી છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, ધારાસભ્ય લલીતભાઇ કગથરા, સેવાદળના લાલજીભાઇ દેસાઇ, પ્રદેશ અગ્રણી અમિત ચાવડા, પુર્વ ધારાસભ્ય જાવેદ પીરજાદા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પુંજાભાઇ વંશ, રાજકોટ શહેર પ્રમુખ અતુલ રાજાણી, પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, જેનીબેન ઠુમ્મર, જસવંતસિંહ ભટ્ટી, એનએસયુઆઇના બ્રિજરાજસિંહ રાણા સહિતના પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ, સ્થાનિક આગેવાનો-કાર્યકરો મોટી સંખ્યામાં હલ્લાબોલમાં હાજર જોડાયા હતા.
પોલીસ કમિશનર બ્રજેશ ઝાને રૂબરૂ મળી આવેદન પાઠવવામાં આવ્યું હતું.કોંગ્રેસે આક્ષેપ કર્યો કે પોલીસ ભાજપની એજન્ટ બની ગઇ છેઃ અસામાજીકોને છાવરવા જેટલી મહેનત કરે છે એટલી અગ્નિકાંડના આરોપીઓની સામે પગલા લેવા મહેનત કરે તે જરૂરી હોવાનું સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું.
ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું છેકે ભાજપના નેતાઓ, અધિકારીઓની મીલીભગતથી અગ્નિકાંડ સર્જાયો છતાં ભાજપ સરકારના પેટનું પાણી હલતું નથી. પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે રાજકોટનો ગમખ્વાર બનાવ પહેલો અને છેલ્લો બની રહે, સરકાર સર્જીત આ હત્યાકાંડના જવાબદાર કોઇપણ નેતા, કર્મચારીને નહિ છોડવા માંગણી કરવામાં આવી છે.હતભાગી મૃતકોની પ્રથમ માસિક પુણ્યતિથી નિમિત્ત 25મીએ રાજકોટ બંધનાં એલાનની જાહેરાત કરવામાં આવી છે.
જિલ્લા પંચાયત ચોક ખાતે એનએસયુઆઇના અને યુવા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ચકકાજામ ખોલવા બાબતે ભારે ઝપાઝપી થતા અંતે પોલીસ કુમક વધુ આવી જતા ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના વિદ્યાર્થી આગેવાનોની અટકાયત થતાં ‘શરમ કરો ભાઈ શરમ કરો, શરમ નહીં તો ડૂબ મરો, ભાજપની ચમચાગીરી બંધ કરો’, ભાજપ હમસે ડરતી હૈ પોલીસ કો આગે કરતે હૈ, પીડીતોને ન્યાય આપો ન્યાય આપો, ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી જેવા સુત્રોચ્ચારો કરાયા હતાં. પોલીસ કમિશનરને લેખિત આવેદનપત્ર સાથે કોંગ્રેસના સાંસદ અને ધારાસભ્ય સહિત કોંગ્રેસના આગેવાનોને તટસ્થ અને ન્યાયિક તપાસની ખાતરી આપવામાં આવી હતી.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી ની યાદી મુજબ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા પરિવારજનો માટે ન્યાયની લડત રાજકોટ શહેર કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા લડત ચલાવવામાં રાજકોટમાં આવી રહી છે. ત્યારે અગાઉ જે કોઇ કાંડ બન્યા છે તેમાં એસઆઇટી (સિટ) કશું ઉકાળી શકી નથી અને જે પગલે અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળશે કે કેમ તે એક શંકાનો વિષય હોવાને કારણે સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં આંદોલનની ચિનગારી ઊભી થઈ છે તે જવાળામુખી બની ફાટી નીકળે એ પહેલા તંત્ર દ્વારા મૃતકના પરિવારજનો અને કોંગ્રેસની વ્યાજબી રજૂઆતો નજર અંદાજ ન કરે અને તાત્કાલિક આ બાબતે યોગ્ય રજૂઆત સરકાર હકારાત્મક વલણ અપનાવી યોગ્ય કરે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.
રાજકોટમાં કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી દ્વારા રાજકોટમાં રહીને પીડીતોને ન્યાય અપાવવા માટે ચાલી રહેલી લડત માં જનજાગૃતિ અર્થે પત્રિકા વિતરણ ગત તારીખ 7, 8, 9ના રોજ રાજકોટના ત્રિકોણબાગ ખાતે ઉપવાસ આંદોલન અને ધરણાના કાર્યક્રમમાં રાજકોટના પ્રબુધ્ધ નાગરિકો જોડાયા હતાં. ત્રણ દિવસ સુધી સતત કાર્યક્રમમાં આપવા છતાં સરકારના પેટનું પાણી ન હાલતા અને શાંત આંદોલનની ભાષા ન સમજાતા પ્રદેશ કોંગ્રેસ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનરને ઘેરાવનો કાર્યક્રમ આપવાની જાહેરાત ઉપવાસી છાવણી ખાતેથી કરવામાં આવી હતી. હવે પછી 25મી જૂને અગ્નિકાંડમાં હોમાયેલા હતભાગી મૃતકોની પ્રથમ માસિક પૂણ્યતિથિએ રાજકોટ બંધનું એલાન અપાયું છે.