જયંતી ભાનુશાળીની હત્યામાં કેટલાક ચોંકાવનારા નામોનો ખુલાસો થયો છે. ભાનુશાળીની હત્યાની માહિતી મુજબ હત્યા કરનારા શાર્પ શૂટર્સ પૂણેના હતા. શાર્પ શૂટર શેખર અને સુરજીત ભાઉની પોલીસે ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી લીધી છે. ભાઉ જયંતી ભાનુશાળીની નજીક હોવાનું માનવામાં આવે છે. હત્યાના દિવસે ટ્રેનમાં કુલ ચાર લોકો હોવાની વાત પણ સામે આવી છે. શાર્પ શૂટર્સ ભાનુશાળીની હત્યા બાદ હત્યારા ઉત્તર પ્રદેશ ભાગી ગયા હોવાથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને પોલીસે તેમને દબોચી લીધા છે.
સૂત્રોના મતે ભાનુશાળીની હત્યા બાદ નોંધાયેલી એફઆઈઆરમાં કેટલાક નામો પૈકીના જ હત્યારા હોવાનું ખૂલ્યું છે. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હતી અને તેમને મોટેભાગે સફળતા મળી છે. આ ઉપરાંત ક્યા કારણે જયંતી ભાનુશાળીની હત્યા કરાઈ તે જાણવા પોલીસ પ્રયાસ કરી રહી છે. એફઆઈઆરમાં સામેલ મહિલા મનિષા ગોસ્વામીની પણ હત્યામાં સંડોવણી બહાર આવી છે પરંતુ હજુ તે પોલીસની પકડમાં આવી નથી. પોલીસ હત્યારાઓને લઈને કાલુપુર રેલવે યાર્ડમાં પડેલા સયાજીનગરીના H1 કોચમાં રીકન્સ્ટ્રક્શન કરાવશે. હત્યાને લઈને અનેક સવાલોના જવાબ હવે બહાર આવી શકશે.