બજારમાં ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતોની સરકાર પાસે વાસ્તવિક સહાયની માંગ
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે હાલ અનેક વિસ્તારોમાં ખેડૂતો પર આર્થિક સંકટ તૂટી પડ્યું છે. ખાસ કરીને ભાવનગર-મહુવામાં ડુંગળીના ખરીદી ભાવ તળિયે પહોંચી જતા પરિસ્થિતિ વધુ કઠિન બની છે. મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો માત્ર રૂ. 3.55 પ્રતિ કિલો ભાવ મળતા ખેડૂતો નિરાશ બન્યા છે. ગુણો ભરીને યાર્ડ સુધી પહોંચેલા ખેડૂતોને પાકની કિંમત સાંભળતા જ ચિંતા ઘેરી ગઈ છે અને તેમના ચહેરા પર ખિન્નતા છવાઈ ગઈ છે.
કમોસમી વરસાદથી પાકને મોટાપાયે નુકસાન
તાજેતરના અચાનક વરસાદથી ખેડૂતોના ઘણા પાકને ભારે નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા મુલાકાતો લઇ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઐતિહાસિક રાહત પેકેજની જાહેરાત પણ કરી હતી. છતાં જમીન પરની વાસ્તવિક સ્થિતિ અનુસાર અનેક ખેડૂતોને હજુ યોગ્ય વળતર નથી મળતું. ખાસ કરીને ડુંગળી ઉગાડતા ખેડૂતોનું કહેવું છે કે વરસાદ પછીના નુકસાનમાં સરકારની મદદ પૂરતી સાબિત થતી નથી.
માત્ર 3.50 રૂપિયા મળતા ખેડૂતોમાં રોષ
ડુંગળીના મોટા પાયે ઉત્પાદન કરનારા અનેક ખેડૂતો પાક લઈને યાર્ડમાં પહોંચ્યા હતા, પરંતુ પ્રતિ કિલો 3.50 રૂપિયા મળતા તેઓ ધ્રુજી ઉઠ્યા હતા. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, થોડા સમય પહેલાં સુધી ડુંગળી માટે યોગ્ય દર મળતા હતા, પરંતુ હાલમાં ભાવ એટલા ઘટ્યા છે કે ઉત્પાદન ખર્ચ પણ નહીં વસૂલાય. ખેડૂતોને લાગે છે કે તેમની મહેનતનું કોઈ મૂલ્ય રહેતું નથી અને સરકાર તરફથી વધુ સશક્ત મદદની જરૂર છે.
“ખર્ચના સામે ભાવ અત્યંત ઓછા” – પીડિત ખેડૂતોની વ્યથા
કેટલાક ખેડૂતોનું કહેવું છે કે ડુંગળીની ખેતીમાં પ્રતિ વિઘે આશરે રૂ. 40 હજાર જેટલો ખર્ચ થાય છે, જ્યારે હાલના બજાર ભાવને જોતા તેમની આવક શૂન્ય જેવી બની ગઈ છે. સરકારે જાહેર કરેલા એકરદીઠ સહાય વિશે ખેડૂતોનું માનવું છે કે આવું પેકેજ ખર્ચની તુલનામાં ખૂબ ઓછું પડે છે. તેઓ આશા રાખે છે કે સરકાર બજારમાં સ્થિરતા લાવવા અથવા સપોર્ટ પ્રાઈસ દ્વારા સીધી રાહત આપે.

