સરકારની સબસિડી યોજનાથી ખેડૂતોને મોટો લાભ
બારૈયા પરિવાર વર્ષોથી પરંપરાગત ખેતી સાથે સંકળાયેલો હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં હવામાનના ફેરફારો, જીવાતોના વધતા ઉપદ્રવ અને બજારના નફાખોરીભર્યા વલણને કારણે તેમને વારંવાર નુકસાન વેઠવું પડતું હતું. આવા સમયમાં મયુરભાઈ અને નિર્મલભાઈએ ખેતીમાં નવો માર્ગ અપનાવવાનો નિર્ણય લીધો અને પ્રથમ વખત નેટહાઉસ આધારિત બાગાયતી ખેતી શરૂ કરી. 4,000 ચોરસ ફૂટ વિસ્તારમા ઊભેલા નેટહાઉસમાં “કાજલ” જાતના મરચાના લગભગ 7,000 છોડ વાવવામાં આવ્યા છે.
રાસાયણિક મુકત અને ગુણવત્તાયુક્ત મરચાનું ઉત્પાદન
આ ખેતી પ્રાકૃતિક ખાતર પર આધારિત છે અને કોઈપણ પ્રકારની રાસાયણિક દવા કે ખાતરની મદદ લેવામાં આવી નથી. નેટહાઉસનું નિયંત્રિત તાપમાન જંતુઓનો ઉપદ્રવ ઓછો રાખે છે, જેના કારણે મરચાનો દાણો વધુ ચળકતો, તાજો અને ગુણવત્તાયુક્ત તૈયાર થયો છે. હાલમાં મરચા તોડવાની કામગીરી શરૂ થઈ છે અને બજારમાં તેને ઉત્તમ ભાવ મળી રહ્યો છે. બારૈયા ભાઈઓ કહે છે કે પરંપરાગત ખેતીની તુલનામાં આ પદ્ધતિ બમણું ઉત્પાદન અને ઊંચી આવક આપે છે, જે તેમને માટે આશ્ચર્યજનક પરંતુ ખૂબ જ હર્ષનિય છે.
સબસિડી યોજના બની સફળતાનો મુખ્ય આધાર
આ સફળતા પાછળ ગુજરાત સરકારના બાગાયત વિભાગની નેટહાઉસ સબસિડી યોજનાનો મોટો ફાળો છે. આ યોજનાએ નેટહાઉસ ઉભું કરવાની કિંમતને ઘણી હદે ઘટાડીને આધુનિક ખેતી તરફ આગળ વધવાની પ્રેરણા આપી છે. બારૈયા પરિવાર સરકારનો આભાર વ્યક્ત કરે છે કે સહાય વગર તેઓ આ સપનું સાકાર કરી શક્યા હોત તેમ નથી. નેટહાઉસની મદદથી પાકની સ્થિરતા અને ખાતરીભર્યો નફો મળતા તેઓને નવી દિશા મળી છે.
ગામના 20 પરિવારોને મળ્યો રોજગારનો સહારો
આ ખેતી માત્ર બારૈયા પરિવારનું ભાગ્ય જ નથી બદલતી, પરંતુ ગામના લોકો માટે પણ રોજગારનું ઉત્તમ સાધન બની છે. નેટહાઉસમાં દૈનિક 20 જેટલા મજૂરોને કામ મળી રહ્યું છે અને તેમની આવકનું સ્થિર સ્ત્રોત ઉભું થયું છે. એક પરિવારની મહેનતથી અનેક પરિવારોના ઘરમાં રોજી-રોટી પહોંચી રહી છે, જે સમગ્ર ગામ માટે પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યું છે.

