ખેતીના વધતા ખર્ચ વચ્ચે ખેડૂતો પર આર્થિક સંકટ
જેથપુર તાલુકાના દેરડી ગામમાં ખેતીની કફોડી સ્થિતિ ફરી એક વખત સામે આવી છે. ડુંગળીના ભાવ જમીન પર આવી જતા અનેક ખેડૂતોએ હતાશા અનુભવી છે. પાક તૈયાર કરવા ભારે ખર્ચ કર્યા બાદ પણ યોગ્ય કિંમત ન મળતા ખેડૂતો હાથમથાળે થઈ ગયા છે. આ પરિસ્થિતિ વચ્ચે એક ખેડૂતે પોતાના ઊભા પાકમાં ઘેટા-બકરાં ચરવા મૂકી અનોખો અને દુઃખદ વિરોધ નોંધાવ્યો છે.
ખર્ચ આકાશે અને ભાવ ધરમાં
ખેડૂત મહેશભાઈ ગોંડલિયાએ જણાવ્યું કે મોંઘા બિયારણ તથા ખાતરનો ખર્ચ ઉઠાવીને સાડા ત્રણ વીઘામાં પાક ઉગાડ્યો હતો. પરંતુ બજારમાં ડુંગળીનો મણ માત્ર 50 રૂપિયામાં વેચાઈ રહ્યો છે, જ્યારે ઉપાડ મજૂરી 400 રૂપિયા અને કટિંગના 70 રૂપિયા થાય છે. યાર્ડ સુધી લઈ જવા પર ભાડું અને વધારાનો ખર્ચ ખેડૂતોનું નુકસાન વધુ વધારી દે છે. આ સમગ્ર વ્યવસ્થામાં ખેડૂતને કંઈ હાથમાં રહેતું નથી, ઉલટું ઘરની ખોટ વધુ થઈ રહી છે.
“કોઈ અમારી વાત સાંભળતું જ નથી”
મહેશભાઈએ સરકાર પ્રત્યે ગાઢ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે વર્ષો સુધી વિશ્વાસ રાખીને મત આપ્યા છતાં ખેડૂતના પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવતું નથી. તેમનું કહેવું છે કે લાખો રૂપિયા ખેતરમાં ખર્ચ્યા છતાં હવે એ પાક ઢોરને આપી દેવાનો વારો આવ્યો છે. યોગ્ય ભાવ ન મળતા તેમના જેવા અનેક ખેડૂતોએ પાક નષ્ટ કરવો પડ્યો છે, કારણ કે ખેતી કરતાં નુકસાન વધુ થાય તેવી પરિસ્થિતિ છે.
દેરડીના ઘણા ખેડૂત પાયમાલ
દેરડી ગામમાં એક-બે નહીં, પરંતુ ઘણા ખેડૂતો ડુંગળીના ઉત્પાદનના કોઈ બજારમૂલ્ય ન મળતાં તૂટી પડ્યા છે. અનેક ખેડૂતોને પાકનો ખર્ચપણ પાછો મળતો ન હોવાને કારણે રોટાવેટર ફેરવવો પડ્યો છે. કેટલાકે પાક ઢોરને ચરવા મૂકી દીધો છે. ખેડૂત સમાજની માંગ છે કે સરકાર તાત્કાલિક મદદરૂપ બને અને યોગ્ય બજાર વ્યવસ્થા સાથે ટેકાના ભાવ જાહેર કરે.

