SIR પ્રક્રિયા વચ્ચે મતદાર યાદી અંગેની ચિંતાઓ પર ચૂંટણી પંચની મહત્વપૂર્ણ સ્પષ્ટતા
દેશના નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલ મતદાર યાદી સુધારણા ઝુંબેશ એટલે કે SIR પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતમાં પણ આ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, જેમાં દરેક મતદાન કેન્દ્ર માટે અલગ બીએલઓની નિમણૂંક કરવામાં આવી છે. બીએલઓ ઘેર ઘેર જઈને ગણતરી ફોર્મ વહેંચી રહ્યા છે અને ભરેલા ફોર્મ પાછા મેળવી રહ્યા છે. આ પ્રક્રિયા શરૂ થતા જ ઘણા લોકોમાં શંકા ઊભી થઈ છે કે જો તેમના નામ મતદાર યાદીમાંથી છૂટી જાય, તો શું ફરીથી સામેલ થવાની તક મળશે કે નહીં.
ચૂંટણી પંચે નાગરિકતા અને મતદાર નોંધણી અંગે કરી સ્પષ્ટતા
સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમ્યાન ચૂંટણી પંચે મહત્વની માહિતી આપી હતી કે નાગરિકતા અને મતદાર યાદી બે જુદા મુદ્દા છે. કોઈ વ્યક્તિનું નામ મતદાર યાદીમાં ન હોય તો તેની નાગરિકતા પર કોઈ અસર પડતી નથી. મતદાર યાદીમાં નોંધણી ન થવી એ નાગરિકતા બાબતે કોઈ પણ રીતે જોખમરૂપ નથી. ચૂંટણી પંચે વધુમાં જણાવ્યું કે મતદાર યાદી માટે જરૂરી દસ્તાવેજો માંગવાનો અધિકાર તેમને બંધારણ અને કાયદા દ્વારા આપવામાં આવ્યો છે, જેથી દરેક નાગરિક પોતાના મતાધિકારનો લાભ લઈ શકે.
નામ કપાઈ જાય તો ફરીથી નોંધણી કરવાની સુવિધા ઉપલબ્ધ
ચૂંટણી પંચના અધિકારીઓનો મત છે કે SIR પ્રક્રિયા માત્ર યાદીને શુદ્ધ બનાવવાનો પ્રયત્ન છે, જેમાં ખોટા અથવા અનિચ્છનીય નામ દૂર કરવામાં આવે છે અને યોગ્ય નાગરિકોના નામ જાળવવામાં આવે છે. નિષ્ણાતો જણાવે છે કે જો કોઈનું નામ આ પ્રક્રિયા દરમિયાન છૂટી જાય તો પણ ફરીથી સામાન્ય પદ્ધતિ દ્વારા ફોર્મ સબમિટ કરીને નામ ઉમેરાવી શકાય છે. એટલે કે નામ ન હોવા છતાં ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે નોંધણીની તક હંમેશાં ઉપલબ્ધ રહે છે.
4 ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની મુદત, ઓનલાઇન વ્યવસ્થા પણ ઉપલબ્ધ
ચૂંટણી પંચે ગણતરી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 4 ડિસેમ્બર નક્કી કરી છે અને હવે થોડા જ દિવસો બાકી છે. BLO મોટાભાગના ઘરોમાં ફોર્મ પહોંચાડી ચૂક્યા છે અને હવે તેને એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. જો મતદારનું નામ 2002 અથવા 2003ની યાદીમાં હોય તો તેને ફોર્મમાં સંબંધિત વિગત, જેમ કે EPIC નંબર, સીરીયલ નંબર અને ભાગ નંબર ભરવાનું રહેશે. જો જૂની યાદીમાં નામ ન હોય તો પોતાના કુટુંબના સભ્યોના જૂના વિગત સાથે નવો ફોટો જોડવો રહેશે. BLO ત્રણ વાર મુલાકાત લે છે, અને જો કોઈ ઘરથી દૂર રહેતો હોય તો ઓનલાઈન ફોર્મ ભરવાની પણ સુવિધા ઉપલબ્ધ છે.
2002ની યાદીમાં નામ ન મળે તો દસ્તાવેજોની ચકાસણી બાદ થશે સમાવેશ
ઘણા લોકો ફરિયાદ કરે છે કે 2002 અથવા 2003ની મતદાર યાદીમાં તેમના પરિવારના કોઈ સભ્યનું નામ ગાયબ છે. આવી સ્થિતિમાં પણ તેઓ ગણતરી ફોર્મ ભરી શકે છે, બાદમાં જિલ્લા કચેરી નોટિસ આપી સુનાવણી કરશે. સુનાવણી સમયે આવશ્યક દસ્તાવેજો, જેમ કે શાળા સર્ટિફિકેટ, જન્મ પ્રમાણપત્ર અથવા પાસપોર્ટ રજૂ કરાવવાનું રહેશે. બીએલઓની કામગીરી પૂર્ણ થયા બાદ ડ્રાફ્ટ યાદી જાહેર થશે અને મતદારો ઓનલાઇન પોતાનું નામ ચકાસી શકશે. નામ ન હોય તો નિર્ધારિત સમયગાળામાં ફરિયાદ નોંધાવી શકાય છે.

