પોલીસ મનોબળ મુદ્દે તણાવ ઊભો, મેવાણી–DGP સહાય વચ્ચે ટકરાવ વધુ તીવ્ર
ગાંધીનગરમાં યોજાયેલા અલંકરણ સમારોહ દરમિયાન ડીજીપી વિકાસ સહાયે તાજેતરમાં થયેલા પોલીસ વિવાદ પર કડક શબ્દોમાં અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે નામ લીધા વગર જ જીગ્નેશ મેવાણીના નિવેદનને નિશાન બનાવ્યું અને જણાવ્યું કે પોલીસનું મનોબળ તોડવું સહન નહીં કરાય. અધિકારીઓને સંબોધતા તેમણે કહ્યું કે વિભાગની છબી પર આંચ આવે તેવી વાતો ટોલરેટ ન થવી જોઈએ. આ ટિપ્પણીઓ રાજ્યમાં પહેલેથી જ ઉગ્ર બનેલી ચર્ચાને વધુ ગંભીર બનાવતી દેખાઈ રહી છે.
મેવાણીના પ્રહારો, “નામ પ્રમાણે જનતાની સહાય કરો”
ડીજીપીના નિવેદન બાદ જિજ્ઞેશ મેવાણીએ પણ ખુલ્લો અને તીખો જવાબ આપ્યો. તેમણે જાહેરમાં કહ્યું કે વિકાસ સહાય ‘સહાય’ નામને યોગ્ય ઠરે તેવી રીતે જનહિતમાં કામ કરે. મેવાણીએ સીધી ટીકા કરતાં જણાવ્યું કે દારુ અને ડ્રગ્સના ગુનાઓ પર કાબૂ લાવવા ધ્યાન આપવું વધુ જરૂરી છે. સાથે જ તેમણે આક્ષેપ કર્યો કે પોલીસ કર્મચારીઓને રાજકીય દબાણ હેઠળ વિરોધ માટે ઉભા કરવામાં આવે છે, પરંતુ આવા દબાણે પોતાનો અવાજ મૌન નહીં કરાય.
ઉત્તર ગુજરાતમાં વિવાદ ગરમાયો, પોલીસ પરિવારો પણ મેદાનમાં
વડગામથી શરૂ થયેલી ટકરાવની હલચાલ હવે સમગ્ર ઉત્તર ગુજરાતમાં દેખાઈ રહી છે. વિવિધ સ્થળોએ પોલીસ પરિવારો ખુલ્લા વિરોધ સાથે સામેથી ઊભા થયા છે. હિંમતનગરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમ્યાન મહિલાઓના વિરોધને કારણે કાર્યક્રમ અટક્યો હતો. પાલનપુર, મહેસાણા અને અન્ય વિસ્તારોમાં પણ પ્રતિસાદ રૂપે રેલીઓ જોવા મળી છે. રાજ્યમાં આ મુદ્દો હવે માત્ર રાજકીય નહીં પરંતુ સામાજિક ચર્ચાનો વિષય બની ગયો છે.
જન આક્રોશ યાત્રાના માહોલમાં રાજકીય ગરમી
21 નવેમ્બરથી શરૂ થયેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા 3 ડિસેમ્બરે બેચરાજી પહોંચવાની છે અને તે દરમિયાન મેવાણીના નિવેદનોને લઈને તણાવ વધુ વધતો દેખાઈ રહ્યો છે. પૂર્વ આઈપીએસ અધિકારીઓ પણ ખુલ્લેઆમ મેવાણીના નિવેદન વિરુદ્ધ આગળ આવ્યા છે અને તેમના રાજીનામાની માંગ કરી છે. હાલની પરિસ્થિતિને જોતા લાગે છે કે આવતા દિવસોમાં રાજ્યની રાજકીય ગરમી વધુ ચડી શકે છે અને આ મુદ્દો ચૂંટણી સુધી લંબાઈ શકે છે.

