નવી દિલ્હી : ભારતના માજી દિગ્ગજ બેટ્સમેન સચિન તેંદુલકરે પોચાના પર લાગેલા હિતોના ટકરાવ સંબંધી કેસને ફગાવતા દાવો કર્યો હતો કે તેણે આઇપીઍલની ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સ પાસેથી ન તો કોઇ નાણાકીય લાભ લીધો છે કે ન તો તે નિર્ણય લેવાની કોઇ પ્રક્રિયામાં ભાગીદાર રહ્યો છે. સચિને રવિવારે બીસીસીઆઇ લોકપાલ અને ઍથિક્સ અોફિસર નિવૃત્ત જસ્ટિસ ડીકે જૈને મોકલેલી નોટિસનો લેખિત જવાબ દાખલ કર્યો જેમાં 14 પોઇન્ટનો ઉલ્લેખ કર્યો છે.
સચિન અને લક્ષ્મણને મધ્યપ્રદેશ ક્રિકેટ ઍસોસિઍશનના સભ્ય સંજીવ ગુપ્તા દ્વારા દાખલ કરાયેલી ફરિયાદને કારણે નોટિસ મોકલવામાં આવી હતી. જેના જવાબમાં સચિને લખ્યું હતું કે સૌથી પહેલા તો નોટિસ મેળવનાર તમામ ફરિયાદો ફગાવે છે. મે નિવૃત્તિ પછી મુંબઇ ઇન્ડિન્સ પાસેથી ટીમ આઇકોન તરીકે કોઇ આર્થિક લાભ/ફાયદો નથી લીધો અને હું ફ્રેન્ચાઇઝી સાથે કોઇપણ ભૂમિકામાં કાર્યરત નથી.
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન કરનારા આ ખેલાડીઍ કહ્યું છે કે તે કોઇ હોદ્દા પર નથી, ફ્રેન્ચાઇઝીના શાસન કે મેનેજમેન્ટ અંતર્ગત જે આવે છે તેવા ખેલાડીઓની પસંદગી સહિતના કોઇ નિર્ણય મે લીધા નથી. ક્રિકેટ સલાહકાર તરીકેની ભૂમિકા અંગેના સવાલના જવાબમાં તેણે લખ્યું છે કે 2015માં મને બીસીસીઆઇની સમિતિનો સભ્ય બનાવાયો અને આ નિમણૂંક મુંબઇ ઇન્ડિયન્સ સાથેની મારી ભાગીદારીના ઘણાં વર્ષ પછી કરવામાં આવી. હું સીઍસીમા સામેલ થયો તે પહેલાથી મને મુંબઇ ઇન્ડિયન્સમાં આઇકોન ખેલાડી તરીકે જાહેર કરવામાં આવ્યો હતો અને તેની જાણ બીસીસીઆઇને હતી જ.