મેલબોર્ન : બીસીસીઆઇ સાથેના મતભેદના નિરાકરણ માટે અધ્યક્ષ અર્લ એડિંગ્સ સહિતના ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ટોચના અધિકારીઓ ભારત આવે તેવી સંભાવના છે એવો દાવો એક અહેવાલમાં કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની ત્રણ ખેલાડીઓને આવતા મહિને મહિલા ટી-20ની મેચમાં ભાગ લેવાની મંજૂરી નહીં આપવાને કારણે બંને દેશના બોર્ડ વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બીસીસીઆઇ સાથેના દ્વિપક્ષિય મેન્સ સિરીઝ વિવાદના કારણે જયપુરમાં 6થી 11 મે સુધી યોજાનારી મહિલા મીની આઇપીએલ મેચોમાં મેગ લેનિંગ, એલિસ પેરી અને એલિસા હિલીને ભાગ લેતી રોકાઇ હતી. સિડની મોર્નિંગ હેરાલ્ડમાં છપાયેલા અહેવાલ અનુસાર સીએના સીઇઓ કેવિન રોબર્ટસ અને અધ્યક્ષ એડિંગ્સ આવતા મહિને ભારત આવે તેવી સંભાવના છે. તેઓ ભારત આવીને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના મહત્વપૂર્ણ ક્રિકેટ સંબંધો ખરાબ થતાં બચાવવા અને મતભેદના નિરાકરણ માટેનો પ્રયાસ કરવામાં આવશે.
અહેવાલ અનુસાર ભારતીય બોર્ડ સાથેની અથડામણ સીએ માટે જોખમી સ્થિતિ છે, જે ગત વર્ષે બોલ ટેમ્પરિંગ પ્રકરણ પછી ફરી મજબૂતાઇથી ઊભું થઇ રહ્યું છે અને તે વિશ્વના અન્ય ક્રિકેટ રમતા દેશોની જેમ પ્રસારણ અધિકારની આવક માટે વિશ્વના સૌથી વધુ વસતિ ધરાવતા દેશ પર ઘણું નિર્ભર કરે છે. અહેવાલમાં કહેવાયું છે કે રોબર્ટસ આવતા મહિને ભારતની મુલાકાતે આવવાની યોજના બનાવતા જ હતા પણ હવે તેઓ એકલા નહીં પણ એડિંગ્સ સાથે જ ભારત પ્રવાસે આવશે.