RBI: રિઝર્વ બેન્કની સખતાઈ છતાં બેન્કો દ્વારા ક્રેડિટ કાર્ડસ જારી કરવાની માત્રા ઊંચી
RBI: પરસનલ લોન તથા ક્રેડિટ કાર્ડ જેવી અનસિકયોર્ડ લોનની માત્રા ઘટાડવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એક તરફ પ્રયાસ કરી રહી છે ત્યારે બીજી બાજુ દેશની બેન્કો દ્વારા ક્રેડિટ કાર્ડસ જારી કરવાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
૨૦૨૪ના ડિસેમ્બરમાં દેશની બેન્કોએ જારી કરેલા ક્રેડિટ કાર્ડસની સંખ્યા ૮.૨૦ લાખ સાથે ચાર મહિનાની ટોચે રહી હતી. નવેમ્બરમાં આ આંક ૩.૫૦ લાખ હતો. આમ ક્રેડિટ કાર્ડસ જારી કરવાની સંખ્યામાં જંગી ઉછાળો જોવા મળ્યો
ક્રેડિટ કાર્ડસ મારફતની ખરીદીમાં વધારાને પરિણામે બેન્કો વિવિધ સ્કીમ સાથેના ક્રેડિટ કાર્ડસ ઓફર કરી રહી છે, જેને કારણે કાર્ડસ માટે આકર્ષણ વધી રહ્યું છે. તહેવારો દરમિયાન ઓનલાઈન ખરીદીમાં ધસારો જોવા મળે છે એટલુ જ નહીં કેશ ડિસ્કાઉન્ટ જેવી સ્કીમનો પણ મોટો લાભ થતો હોવાથી ક્રેડિટ કાર્ડસ મારફતની ખરીદી વધુ જોવા મળે છે.
૨૦૨૪ના સંપૂર્ણ વર્ષની વાત કરીએ તો નેટ ધોરણે ૧.૦૧ કરોડ નવા ક્રેડિટ કાર્ડસનો ઉમેરો થયો છે. ૨૦૨૪ના અંતે દેશમાં ક્રેડિટ કાર્ડસની કુલ સંખ્યા ૧૦.૮૦ કરોડ રહી હતી.
બેન્કિંગ વ્યવસ્થામાં અનસિકયોર્ડ પરસનલ લોન અને ક્રેડિટ કાર્ડસની સંખ્યામાં જંગી વધારો થતાં રિઝર્વ બેન્કે નવેમ્બર, ૨૦૨૩માં રિસ્ક વેઈટમાં વધારો કર્યો હતો.
તાજેતરમાં આવેલા એક અહેવાલમાં રુપે ક્રેડિટ કાર્ડના યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ (યુપીઆઈ) સાથે લિન્ક કરી દેવાને પરિણામે રુપે ક્રેડિટ કાર્ડસના વપરાશમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. ૨૦૨૪ના વર્ષમાં રુપે ક્રેડિટ કાર્ડસ મારફત દર મહિને રૂપિયા ૧૪૦૦૦ કરોડના વ્યવહાર પાર પડયા હતા જ્યારે દરેક પ્રકારના ક્રેડિટ કાર્ડસ મારફતના વ્યવહારનું એકંદર મૂલ્ય મહિને રૂપિયા ૧.૮૦ લાખ કરોડ રહ્યું