રાજ્યમાં દલિતો પર થયેલા અત્યાચાર મામલે અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ સીએમ વિજય રૂપાણીને પત્ર લખ્યો છે અને દલિતો પર અત્યાચાર ના થાય તે માટે દરેક જીલ્લામાં તકેદારીરૂપે લેવાયેલા પગલાંની વિગતો માંગી છે. સાથે જ ગંભીર ઘટનાઓમાં ઉચ્ચ અધિકારીઓ લીધેલી મુલાકાત દરમિયાન કરેલી કાર્યવાહીની વિગતની પણ માંગ કરાઈ છે. દલિતો સાથે બનતી ઘટનામાં સજાનો દર વધારવા સરકારી વકીલોએ કરેલી કાર્યવાહીની આધારભુત વિગતો આપવા તેમણે સીએમને પત્ર લખ્યો છે.
સજાનો દર ના વધ્યો હોય તો સરકારી વકીલો સામે કરેલી કાર્યવાહી તેમજ ના થયેલી કાર્યવાહીની પણ વિગતો આપવા મેવાણીએ અરજ કરી છે. આ ઉપરાંત આવા કેસમાં સમયસર ચાર્જશીટ ના કરનારા અધિકારીઓ સામે લેવાયેલા કાયદાકીય પગલાંની માગ કરી છે. એટલુ જ નહીં તેમણે અનુસુચિત જનજાતિ કમિટીની બેઠક બોલાવવાની પણ માગ કરી છે. વર્ષમાં બે વખત મળતી બેઠકના નિયમનો છેદ ઉડાડી સરકાર બેઠક ના યોજતી હોવાનો પત્રમાં દાવો કરાયો છે.