કાગવડ ખોડલધામના કાર્યક્રમમાં રાજકીય મતભેદો ઓસર્યા, નેતાઓએ સમાજની એકતા પર ભાર મૂક્યો
રાજકોટના કાગવડ ખોડલધામમાં લેઉવા પાટીદાર સમાજ દ્વારા યોજાયેલ શક્તિ પ્રદર્શન ચર્ચાનો મુખ્ય મુદ્દો બની ગયો છે. આ કાર્યક્રમ દરમિયાન સમાજના અગ્રણી નરેશ પટેલ અને ધારાસભ્ય જયેશ રાદડિયા એક જ મંચ પર દેખાયા હતા. લાંબા સમયથી ચાલતા મતભેદો આ પ્રસંગે ઓસર્યા હોવાનું સમાજમાં ચર્ચાઈ રહ્યું છે. ઉપસ્થિત આગેવાનોનું કહેવું છે કે આ કાર્યક્રમ સમાજની એકતા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
કોલ્ડવોરના અંત સાથે નવી શરૂઆત
છેલ્લા ઘણા મહિનાઓથી જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે કોલ્ડવોર ચાલતી હોવાની ચર્ચા હતી. ઇફ્કો ચૂંટણી બાદ જયેશ રાદડિયાએ સીધું નામ લીધા વિના સમાજના અગ્રણીઓ પર વિવિધ ટકોરો કરી હતી. તેમણે રાજકારણ કરવા ખુલ્લા મેદાને આવવાની પણ ટીકા કરી હતી. પરંતુ ખોડલધામના આ કાર્યક્રમમાં તેમની ઉપસ્થિતિએ મનદુ:ખ દૂર થઈ નવા સંબંધોની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
નરેશ પટેલની સરખામણી સરદાર પટેલ સાથે
કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સંબોધન કરતાં નરેશ પટેલના કાર્યને ઐતિહાસિક ગણાવી તેમની સરખામણી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કરી. તેમણે કહ્યું કે જેમ સરદાર પટેલે 562 રજવાડાઓને એકતામાં બાંધ્યા, તેમ લેઉવા પાટીદાર સમાજને એક થવાનો માર્ગ નરેશ પટેલે અપાવ્યો છે. તેમના નિવેદનથી કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી ફેલાઈ હતી.
ખેડૂતોની મદદ માટે અગ્રણીઓ આગળ
આજના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કમોસમી વરસાદથી પીડાતા ખેડૂતોની સ્થિતિ પર પણ ધ્યાન દોર્યું. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે વળતર રૂપે 10,000 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે, જેમાંથી 2,200 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવવામાં આવી ચૂક્યા છે. ખોડલધામની અપીલ બાદ સમાજના અનેક અગ્રણીઓ મોટા મનથી ખેડૂતોની મદદમાં જોડાયા છે, જેને કારણે પીડિત પરિવારોને મોટી રાહત મળી છે.

