ખરોડથી રાજભવન સુધીની આનંદીબહેનની સફરને પુસ્તક રૂપે મળ્યો નવો અવાજ
ગુજરાતની રાજનીતિમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના જીવનપ્રવાસને વર્ણવતું પુસ્તક કાલે સત્તાવાર રીતે જનતા સમક્ષ આવ્યું છે. આ પુસ્તકનું વિમોચન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું, જ્યાં રાજ્યના અનેક પ્રભાવશાળી નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહી આનંદીબહેનના નેતૃત્વની પ્રશંસા કરી. સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ તેમની કાર્યશૈલી અને પ્રજાપ્રતિબદ્ધતા અંગે પોતાના વિચારો રજૂ કર્યા.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આનંદીબહેન પટેલની અડગ ઇચ્છાશક્તિ અને પરિસ્થિતિને પડકારતી પ્રવૃત્તિને સમગ્ર ગુજરાત સારી રીતે ઓળખે છે. નાના ગામ ખરોડથી શરૂ થયેલી તેમની કામગીરી આજે રાજ્યના વિકાસના પાયામાં ગણાય છે. મુખ્યમંત્રી તરીકે તેમની કાર્યક્ષમતા અને જનકેન્દ્રિત નિર્ણયો લોકોના હૃદયમાં આજે પણ સ્પષ્ટ રીતે સંવાયેલા છે. ‘ચુનૌતિયાં મુજે પસંદ હૈ’ નામમાં જ તેમના સંઘર્ષ અને આત્મશક્તિની સફરનો સાર સમાઈ જાય છે. પુસ્તક યુવતીઓને નિર્ભયતાથી આગળ વધવા પ્રેરિત કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
જીવનચરિત્રના ગુજરાતી અનુવાદના વિમોચનનો યાદગાર પ્રસંગ
અમદાવાદમાં આનંદીબહેન પટેલના જીવનચરિત્ર ‘ચુનૌતિયાં મુઝે પસંદ હૈ’ના ગુજરાતી અનુવાદનું વિમોચન ભવ્ય આયોજન સાથે થયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ પુસ્તકનું અનાવરણ કર્યું. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું કે આનંદીબહેનનું જીવન સંઘર્ષ અને જનસેવાના દૃઢ નિશ્ચયથી આગળ વધવાની પ્રેરણાદાયી ગાથા છે. પુસ્તકમાં તેમની યાત્રાના નિર્ણાયક ક્ષણોને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે. જાહેર જીવનમાં તેમણે સંગઠન, નીતિ અને નેતૃત્વ ક્ષેત્રે મૂલ્યવાન યોગદાન આપ્યું છે.
સંઘર્ષથી ઉચ્ચ પદ સુધીની યાત્રાનું અનોખુ ઉદાહરણ
અમિત શાહે જણાવ્યું કે આનંદીબહેનનું જીવન માત્ર પદ માટે નહીં પરંતુ પર્પઝ માટે કાર્ય કરવાનું પ્રતિક છે. શિક્ષિકા તરીકેની શરૂઆતથી લઈ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ સુધીની તેમની સફર ભારતીય નારીશક્તિની દૃઢતાને દર્શાવે છે. મધ્યમવર્ગના પરિવારમાંથી આવેલા આનંદીબહેન લોકસેવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે 85 વર્ષની ઉંમરે પણ ઉત્સાહપૂર્વક કાર્ય કરતી તેમની કાર્યશૈલી સૌ માટે પ્રેરણા બની છે. તેમના કાર્યકાળમાં શિક્ષણ અને સમાજસેવાની અનેક પહેલોમાં ઉલેચનીય સુધારો નોંધાયો હતો.
સંગઠન ક્ષેત્રે આનંદીબહેનના યોગદાનની વિશેષ નોંધ
આ પ્રસંગે અમિત શાહે સંગઠનના ક્ષેત્રે આનંદીબહેનના અવિસ્મરણીય યોગદાનને યાદ કરતાં કહ્યું કે તેમણે કાર્યકર્તા નિર્માણથી લઈને સંગઠનને મજબૂત કરવાની વિશિષ્ટ ભૂમિકા ભજવી છે. ગુજરાતભરમાં પ્રવાસ કરીને મજબૂત બૂથ માળખું ઉભું કરવાની પ્રક્રિયામાં તેમણે મહત્વનું કામ કર્યું હતું. શિક્ષિકા, સામાજિક કાર્યકર્તા અને રાજનેતા તરીકે તેમનું બહુમુખી કાર્ય રાજ્યની રાજકીય વ્યવસ્થામાં ઊંડો પ્રભાવ પાડે છે. મહેસૂલ મંત્રી તરીકે નર્મદા યોજનાના ભૂમિ અધિગ્રહણનો દેશવ્યાપી રેકોર્ડ પણ તેમણે જ સ્થાપિત કર્યો હતો.
પોતાની જીવનયાત્રા વિશે આનંદીબહેનના હૃદયસ્પર્શી ઉલ્લેખ
સમારંભમાં આનંદીબહેને પોતાના રાજકીય ઘડતરની વાત કરતાં જણાવ્યું કે દુષ્કાળના સમયમાં ગામડેથી ગામડે ફરી લોકોની સમસ્યાઓ સમજવાનો સમય તેમની માટે નિશ્ચયકારક રહ્યો હતો. ભાજપે જ્યારે તેમને મોટી જવાબદારીઓ સોંપી ત્યારે જ તેમના જીવનનું ઘડતર થયું હોવાનું તેમણે જણાવ્યું. પુસ્તકનાં વેચાણની આવક દીકરીઓના શિક્ષણમાં વાપરવામાં આવશે એવો મહત્વનો નિર્ધાર તેમણે જાહેર કર્યો. ઉત્તર પ્રદેશમાં શિક્ષણવ્યવસ્થા મજબૂત બનાવવા માટે ચાલી રહેલા પ્રયાસોનો પણ સુંદર ચિતાર તેમણે રજૂ કર્યો. રાજ્યની યોજનાઓનો યોગ્ય અમલ થાય તેની જવાબદારી તેઓ સતત નિભાવતા હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો.

