જુનાપાદરના તખતસિંહ ગોહિલે ટામેટા ખેતીથી કમાવ્યો નફો, પ્રતિ વીઘા 70 હજાર રૂપિયાથી વધુ આવક
સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતવર્ગ હવે પરંપરાગત પાકો જેમ કે મગફળી, કપાસ અને ડુંગળીમાંથી દૂર થઈ રહ્યા છે. ઘણા ખેડૂતો સતત ઓછું ઉત્પાદન અને ઓછા ભાવથી પરેશાન રહેતા હવે બાગાયતી અને શાકભાજીના પાકોની પસંદગી કરી રહ્યા છે. નવી ખેતી પદ્ધતિઓ અને બજારની સારી માંગને કારણે તેઓ વર્ષે વધુ આવક મેળવી શકતા થયા છે. આ પરિવર્તન ખેતીમાં સ્થિર આવકનો એક નવો દોર રજૂ કરે છે.
તખતસિંહ ગોહિલે બાગાયતી ખેતીમાં શોધ્યો નવો માર્ગ
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જુનાપાદર ગામના ગોહિલ તખતસિંહ મૂળુભા ઘણા વર્ષોથી ખેતી કરતા આવ્યા છે. શરૂઆતમાં તેઓ મગફળીનું વાવેતર કરતા હતા, પરંતુ ઓછા વળતરને કારણે છેલ્લા દાયકાથી શાકભાજી અને બાગાયતી પાકોનો માર્ગ અપનાવ્યો છે. હાલમાં તેમણે દોઢથી બે વીઘા જમીનમાં મંડપ પદ્ધતિ દ્વારા ટામેટાનું વાવેતર કર્યું છે. તેમને મળતા ભાવ અને ઉત્પાદન બંને સારા હોવાથી પ્રતિ વીઘા 70 હજાર રૂપિયા સુધીની આવક મળી રહી છે.
મંડપ પદ્ધતિથી ટામેટા ખેતીમાં વધતો લાભ
તખતસિંહે જણાવ્યું કે જમીનને યોગ્ય રીતે તૈયાર કરવી ખેતીનું પ્રથમ પગથિયું છે. પહેલા ખેડ કરીને રોટાવેટર દ્વારા જમીન સમાન કરવામાં આવી હતી. ત્યારબાદ દેશી ખાતર, ડ્રીપ સિસ્ટમ અને મલ્ચિંગ પાથરીને ટામેટાની નાજુક વનસ્પતિને ઊંચાઈ આપવામાં આવી હતી. મંડપ પદ્ધતિ સાથે જાળીનું સ્ટ્રક્ચર ઉભું કરતા છોડ મજબૂત રહે છે અને ફળનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળી રહે છે.
ટામેટા વેચાણથી ખેડૂતોને વધતી આવક
માવજતમાં પાણીમાં ઘૂલનશીલ ખાતર જરૂરીયાત મુજબ આપવામાં આવે છે. તૈયાર થયેલા ટામેટાનું વેચાણ સાવરકુંડલા, મહુવા, પાલીતાણા અને ભાવનગરના વિવિધ યાર્ડમાં થાય છે. છેલ્લા દિવસોમાં ટામેટાના ભાવ 70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યા હતા, જ્યારે હાલનો બજાર ભાવ 40 રૂપિયા આસપાસ છે. તેમ છતાં, ઉત્પાદન યોગ્ય મળે તો પ્રતિ વીઘા 70 હજારથી વધુ આવક શક્ય બની રહી છે.

