Sardarji 3: દિલજીત દોસાંજની ‘સરદારજી 3’ વિવાદમાં, પાકિસ્તાની કલાકારોના કારણે રિલીઝ અટકવાની ભીતિ
Sardarji 3: જાણીતા અભિનેતા અને ગાયક દિલજીત દોસાંજની આગામી ફિલ્મ ‘સરદારજી 3’ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. આ વિવાદ ફિલ્મમાં પાકિસ્તાની કલાકારોના સમાવેશને લઈ ઉદભવ્યો છે.
Sardarji 3: ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) એ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ને પત્ર લખી કરીને ફિલ્મને પ્રમાણપત્ર ન આપવા વિનંતી કરી છે. પત્રમાં જણાવાયું છે કે ફિલ્મમાં હાનિયા આમિર, નાસિર ચિન્યોતી, દાનિયલ ખાવર અને સલીમ અલબેલા જેવા પાકિસ્તાની કલાકારોના સમાવેશથી રાષ્ટ્રીય હિત અને સરકારના તાજેતરના સૂચનોનું ઉલ્લંઘન થાય છે.
FWICE ના પત્રમાં CBFC ચેરમેન પ્રસૂન જોશીને જણાવ્યું છે કે માહિતી અને પ્રસારણ મંત્રાલયે તાજેતરમાં જ પાકિસ્તાની મૂળની સામગ્રી અને કલાકારો સાથે સહયોગ પર પ્રતિબંધ લગાવાનો સૂચન આપ્યો છે.
એ પહેલા, ભાજપ ચિત્રપટ કામદાર આઘાડીએ પણ ફિલ્મમાં પાકિસ્તાની કલાકારોના સમાવેશનો વિરોધ કરી જાહેરાત કરી હતી કે, “આ મુદ્દો માત્ર રાજકીય નથી, પણ રાષ્ટ્રીય ભાવના અને ભારતની સર્વોચ્ચતા સાથે જોડાયેલો છે.”
વિવાદ એ સમયે વધુ ગંભીર બની ગયો છે જયારે 22 એપ્રિલ, 2025ના રોજ પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધુ ઘેરો બન્યો હતો. આ પૃષ્ઠભૂમિમાં સરકારે તમામ મીડિયા પ્લેટફોર્મ્સને પાકિસ્તાની સામગ્રી બંધ કરવાનો આદેશ આપ્યો છે.
અત્યારે બધાની નજર CBFC પર છે કે તેઓ ફિલ્મ ‘સરદારજી 3’ને રિલીઝ માટે મંજૂરી આપે છે કે નહીં. ફિલ્મના નિર્માતાઓ તરફથી હજી સુધી કોઈ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી.