Pakistan: મોહસેન રેઝાઈના દાવા પર પાકિસ્તાનનો ઈન્કાર: ‘આવો કોઈ સંકેત નથી આપ્યો’
Pakistan: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન-ઇઝરાયલ વિવાદ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. તાજેતરમાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના વરિષ્ઠ અધિકારી મોહસેન રેઝાઈએ દાવો કર્યો હતો કે જો ઇઝરાયલ ઇરાન પર પરમાણુ હથિયારોથી હુમલો કરશે, તો પાકિસ્તાન તેના સમર્થનમાં ઈઝરાયલ પર પરમાણુ પ્રહાર કરશે. જો કે, પાકિસ્તાને આ દાવાને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યો છે.
પાકિસ્તાની પ્રતિક્રિયા: “આ દાવો સંપૂર્ણપણે ખોટો છે”
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ઈરાન દ્વારા કરવામાં આવેલ દાવો ખોટો અને પાયાવિહોણો છે. તેમણે ઉમેર્યું હતું કે, “ઈસ્લામાબાદે આવું કોઈ નિવેદન આપ્યું નથી. પરમાણુ શસ્ત્રોના મુદ્દા પર પાકિસ્તાન ખૂબ જ જવાબદાર અને શાંતિપૂર્ણ દૃષ્ટિકોણ ધરાવે છે.”
ઇરાન-ઇઝરાયલ વચ્ચે તણાવ તીવ્ર, ખામેની બંકરમાં છુપાયા?
ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવને લઈને ઈરાની મીડિયા દ્વારા વધુ એક દાવો કરવામાં આવ્યો છે કે દેશના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેની અને તેમનો પરિવાર સુરક્ષા જાળવણી હેઠળ બંકરમાં રેહવાને મજબૂર બન્યા છે. કેટલીક અહેવાલ અનુસાર, ઇઝરાયલ ખામેની પર સીધો હુમલો કરવાની તૈયારીમાં હતો અને આ અંગે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સંપર્ક પણ કર્યો હતો, પણ ટ્રમ્પે એ પ્રયાસોને રોકી દીધા.
ઈઝરાયલ-ઈરાન હુમલાઓમાં ભારે જાનહાનિ
ઈરાનના આરોગ્ય મંત્રાલય મુજબ, તાજેતરના ઇઝરાયલી હુમલાઓમાં 224 લોકોના મોત થયા છે અને 1277થી વધુ ઘાયલ થયા છે. બીજી તરફ, ઇઝરાયલના મધ્ય ભાગમાં ઈરાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલામાં પણ ત્રણ લોકોનાં મોત થયા છે, જ્યારે 67 લોકોને ઇજાઓ પહોંચી છે.
મેગેન ડેવિદ એડોમ (MDA)ના જણાવ્યા મુજબ, ઘાયલોમાં એક 30 વર્ષીય મહિલાની હાલત ગંભીર છે.
વિસ્તારની શાંતિ માટે અનિશ્ચિતતા
માહિતગાર સૂત્રો મુજબ, બંને દેશોની સ્થિતિ તણાવભરી છે અને પરમાણુ હથિયારો અંગે ચાલી રહેલા આક્ષેપો અને ઇનકારો ત્રીજા વિશ્વયુદ્ધ જેવી સંભાવનાઓ વધારી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા શાંતિ માટેના પ્રયાસો ચાલુ છે, પરંતુ હાલના સમયમાં તણાવ ઘટવાની સંભાવના ઓછી લાગી રહી છે.