India Russia S-400 deal update: યુક્રેનના ડ્રોન હુમલાએ રશિયાના S-400 સિસ્ટમને બનાવ્યો નિશાન, ભારત માટે ચિંતાનો વિષય કેમ બન્યો?
India Russia S-400 deal update: યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં વધુ એક મહત્વપૂર્ણ દાવો સામે આવ્યો છે. યુક્રેનની ગુપ્તચર એજન્સી HUR મુજબ, તેણે રશિયાના કબ્જાવાળા ક્રિમિયામાં ચાલાવેલા ડ્રોન હુમલામાં રશિયાની વિશ્વપ્રસિદ્ધ હવાઈ સંરક્ષણ પ્રણાલી S-400 અને તેના મહત્ત્વના ઘટકોને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે.
કયા ઘટકોને નિશાન બનાવાયા?
- 91N6E “Big Bird” રડાર – બે એકમો નાશ પામ્યા
- 92N2E મલ્ટિફંક્શનલ ટ્રેકિંગ રડાર – બે નષ્ટ
- S-400 લોન્ચર યુનિટ – સીધું નુકસાન
- આ હુમલાનો વીડિયો પણ ટેલિગ્રામ પર જાહેર કરવામાં આવ્યો છે
યુક્રેનનો દાવો છે કે આવા હુમલાથી S-400 સિસ્ટમ “આંધળી” બની જાય છે, કારણ કે રડાર એ તેની આંખો છે.
ભારત માટે ચિંતા શા માટે?
ભારતે વર્ષ 2018માં રશિયા સાથે S-400 ટ્રાયમ્ફ એર ડિફેન્સ સિસ્ટમ માટે ₹40,000 કરોડના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. અત્યાર સુધીમાં ભારતને ત્રણ S-400 સ્ક્વોડ્રન મળ્યા છે, જે પાકિસ્તાન અને ચીનના હવાઈ ખતરાઓ સામે ઉત્તર અને પૂર્વ સરહદ પર તૈનાત છે. જોકે, યુદ્ધના પગલે બાકી રહી ગયેલી બે સ્ક્વોડ્રનની ડિલિવરીમાં વિલંબ થયો છે.
તાજેતરમાં રાજનાથ સિંહે ચીનના કિંગદાઓમાં SCO સમિટ દરમિયાન રશિયન સંરક્ષણ મંત્રી આન્દ્રે બેલોસોવ સાથે મુલાકાત કરી હતી, જેમાં S-400 સહિત અન્ય શસ્ત્રોની સપ્લાય અને અપગ્રેડ અંગે ચર્ચા કરવામાં આવી હતી. રશિયાએ ખાતરી આપી છે કે બાકી રહેલી બે સ્ક્વોડ્રન 2026 અને 2027 સુધીમાં ભારત પહોંચાડી દેવામાં આવશે.
S-400 કેમ છે એટલું મહત્વપૂર્ણ?
S-400 એ અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ છે, જે:
- 400 કિમી સુધી હવાઈ લક્ષ્યોને નષ્ટ કરી શકે છે
- સ્ટેલ્થ વિમાન, ક્રૂઝ મિસાઈલ અને બેલિસ્ટિક મિસાઈલ સામે રક્ષણ આપે છે
- એકસાથે અનેક લક્ષ્યો પર નિશાન સાધી શકે છે
ઓપરેશન સિંદૂર દરમિયાન પણ S-400 એ પાકિસ્તાનના એર સ્ટ્રાઇક પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા, જેના લીધે તેનું વિશ્વસનીયતામાં વધારો થયો હતો. જોકે, હવે યુક્રેનના દાવા જો સાચા ઠરે તો તે S-400 ધરાવતા દેશોમાં ટેક્નોલોજીકલ ટકાઉપણું અંગે પ્રશ્ન ઊભા કરી શકે છે.