દશેરા જ્યાં પાપનું પ્રતિક માનીને સમગ્ર દેશમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે, ત્યારે તેનાથી વિપરીત વિદિશા જિલ્લાના નટેરન તાલુકામાં એક અનોખુ રાવણ નામનું ગામ આવેલું છે. અહીં ભક્તિભાવ પૂર્વક રાવણની પૂજા કરવામાં આવે છે. વર્ષોથી ચાલી આવી રહેલા આ પરંપરામાં ગ્રામવાસીઓ શ્રદ્ધા પૂર્વક ભક્તિ કરે છે.
રાવણ નામના આ નાના ગામમાં રાવણને દેવતાઓની જેમ પૂજવામાં આવે છે. ગામમાં કોઈ પણ શુભ કાર્ય હોય, લગ્ન કે બાળકનો જન્મ દિવસ ત્યારે સૌથી પહેલા અહીં આવીને ગ્રામજનો દંડવત કરે છે અને પછી કામની શરૂઆત કરે છે.
વિજયા દશમીના અવસરે આ મંદિરમાં પૂજા અર્ચના અને ભંડારાનું આયોજન કરવામાં આવે છે. રાવણ બબ્બાના નામથી અહી રાવણનું મંદિર ખુબ જ જાણીતું છે. અહીં જો કોઈ નવું વાહન ખરીદીને લાવે છે, તો તેના પર જય લંકેશ લખવામાં આવે છે. ગ્રામજનોની માન્યતા છે કે, જો કોઈ પણ કાર્ય કરતા પહેલા જો રાવણની પૂજા ના કરાય, તો કોઈને કોઈ અડચણ અવશ્ય આવે જ છે. આ મંદિરમાં રાવણની સૂતેલી અવસ્થામાં વર્ષો જૂની વિશાળ મૂર્તિ છે. ગામના લોકો મંદિરમાં રાવણના દર્શન અને પૂજા કરવા દરરોજ આવે છે.
દશેરાના દિવસે ગામ ગમગીન
સમગ્ર દેશમાં જ્યારે દશેરા પર રાવણ દહનની ધામધૂમ પૂર્વક તૈયારી થઈ રહી હોય છે, ત્યારે આ ગામમાં ગમગીની છવાયેલી જોવા મળે છે. અનેક મહિલાઓ આ દિવસે મંદિરમાં જઈને રોવા લાગે છે. આ દિવસે ગામના લોકો પણ બહાર નથી નીકળતા.
રાવણની પૂજાને લઈને આ ગામમાં અનેક પ્રકારની કથાઓ પ્રચલિત છે. ગ્રામજનો કહે છે કે, નજીકના પહાડ પર રહેનારા એક રાક્ષસ, રાવણની તાકાતને અવારનવાર પડકારતો હતો અને તેની સાથે લડવા માટે લંકા જતો હતો. રાવણે તેને એક વખત જણાવ્યું હતું કે, તમે તમારા વિસ્તારમાં જ એક રાવણની પ્રતિમા બનાવી લો અને તેની સાથે યુદ્ધ કર્યા કરો. રાક્ષસનું માનવું હતું કે, જ્યારે તે રાવણ સામે જતો, ત્યારે તેની તાકાત ઓછી થઈ જતી હતી.