કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે મુંબઇ પરના આતંકવાદી હુમલાના એક આરોપી ઇકબાલ મિર્ચીની પત્ની સાથે એનસીપીના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રફુલ પટેલે કરેલો સોદો દેશદ્રોહ નથી તો બીજું શું છે?
એક ટીવી ચેનલ પર આપેલા ઇન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું કે હવે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને શરદ પવાર પર આધાર છે કે આ બાબતે એ લોકો કેવું વલણ જાહેર કરે છે..પ્રફુલ પટેલે ઇકબાલ મિર્ચીની પત્ની હાજરા બીબી સાથે 2007માં જમીનનો સોદો કર્યો હતો. તાજેતરમાં એની વિગતો પ્રગટ થઇ હતી. એ સાથે હોબાળો મચી ગયો હતો.
આ અંગે તમારો શો અભિપ્રાય છે એવો સવાલ અમિત શાહને પૂછવામાં આવતાં એમણે કહ્યું કે ખરેખર તો આ સવાલ તમારે રાહુલ ગાંધીને પૂછવો જોઇએ. આ સોદો થયો ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને આ સોદો થયો ત્યારે ઇકબાલ મિર્ચી સામે રેડ કોર્નર નોટિસ બહાર પડી ચૂકી હતી એટલે શરદ પવારે ખુલાસો કરવો જોઇએ કે તેમના પક્ષના નેતા પ્રફુલ પટેલે મુંબઇમાં થયેલા 1993ના સિરિયલ બોમ્બ વિસ્ફોટના એક આરોપી એવા ડૉનની પત્ની સાથે તેમના પક્ષના નેતાએ સોદો કેમ કર્યો. એ દેશદ્રોહ ન થયો?
અમિત શાહે કહ્યું કે વિસ્મયજનક વાત તો એ છે કે એકલા પ્રફુલ પટેલ આ વિશે બચાવ કરી રહ્યા છે. તેમના પક્ષ પ્રમુખ શરદ પવાર કે કોંગ્રેસના સોનિયા ગાંધી યા રાહુલ ગાંધી ચૂપ બેઠાં છે. પ્રફુલ પટેલે ખુલાસો કરવો જોઇએ કે તેમને ઇકબાલ મિર્ચી સાથે સોદો કરવો કેમ પડ્યો? કોના દબાણથી આ સોદો કર્યો એનો ખુલાસો પટેલે કરવો જોઇએ.
શાહે એમ પણ ઉમેર્યું હતું કે હાજરા બીબીએ પાસપોર્ટ માગ્યો ત્યારે યુપીએ સરકારેજ 2007માં સુપ્રીમ કોર્ટમાં હાજરા બીબીને પાસપોર્ટ અપાય એનો વિરોધ કર્યો હતો. તો પછી એ હાજરા બીબી સાથે પ્રફુલ પટેલ જમીનનો સોદો કેવી રીતે કરી શકે ? આ તો ખુલ્લો દેશદ્રોહનો કેસ છે.